રાજકોટમાં ગણેશ વિસર્જનના દિવસે સંવેદનશીલ ગણાતા વિસ્તારની ઘટના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
રાજકોટના કુંભારવાડામાં ગઈકાલે રાત્રે સામુ જોવા જેવી નજીવી બાબતે મુસ્લિમ અને ભરવાડ જૂથ વચ્ચે માથાકુટ થયા બાદ શસ્ત્ર બઘડાટી બોલી હતી. જેમાં બન્ને જૂથના ત્રણ લોકોને ઈજા થઈ હતી. આ મામલે એ-ડીવીઝન પોલીસ સહિતનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થિતિને કાબુમાં લીધી હતી. આ બનાવમાં પોલીસે બન્ને પક્ષે સામેસામે ફરિયાદ નોંધી છે અને બનાવ બાદ આજે સવારથી સમગ્ર કુંભારવાડા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે પોલીસે કોમ્બીંગ કરીને ભરવાડ જૂથના 4 અને મુસ્લિમ જુથના 3 એમ કુલ 7 આરોપીઓને ઝડપી લીધા હતાં. જ્યારે અન્યની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
રાજકોટના કુંભારવાડામાં બનેલી જૂથ અથડામણની ઘટનામાં પોલીસે સામે સામે ફરિયાદ નોંધી છે જેમાં મકાનનું લે-વેચનું કામ કરતાં દિવ્યેશ રમેશ પરમારની ફરિયાદને આધારે કુંભારવાડાના અકીલ શબીર મકરાણી, ફરાજ સલીમ ફલીયાણી, અરમાન સુમરા, અફઝલ હાજી, મુસ્તાક હાજી અને અજાણ્યા સહિત છ સામે ગુનો નોંધ્યો છે. જ્યારે સામા પક્ષે એકાત પ્રોવીઝન સ્ટોર પાસે રહેતા અકીલ શબીર મકરાણીની ફરિયાદને આધારે હાથીખાના કુંભારવાડામાં રહેતા અવધ ભરવાડ તેના ભાઈ દિવ્યેશ ભરવાડ તેના કાકાનો પુત્ર મંથન તથા તેના મિત્ર અમીત ગોહેલ અને અજાણ્યા બે મળી છ સામે ગુનો નોંધ્યો છે. દિવ્યેશ પરમારે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના મોટા બાપુનો પુત્ર મંથન સ્કુટર લઈને જતો હતો ત્યારે અકીલ મકરાણી સાથે સામુ જોવા જેવી બાબતે ઝઘડો થયો હતો ત્યારબાદ દિવ્યેશ અને તેની સાથેનો ભાઈ કાર લઈને જતાં હતાં ત્યારે અકીલ સહિતના શખ્સોએ કાર ઉપર હુમલો કરી છુટા સોડા બોટલના ઘા કરી કારમાં નુકસાન કર્યુ હતું.
તેમજ કારના કાચ તોડી નાખી દિવ્યેશ ઉપર અને મંથન ઉપર હુમલો કર્યો હતો. સામાપક્ષે અકીલ મકરાણીએ જણાવ્યા મુજબ, કાળા કલરની સ્કોર્પિયોમાં આવેલા દિવ્યેશે અકીલ એકસેસ મોટર સાઈકલ લઈને જતો હતો ત્યારે સામુ કેમ જોતો હતો તેમ કહી ગાળો આપી અકીલ અને તેની સાથેના ભાઈ અલ્કાબા મસ્જીદ પાસે હતા ત્યારે સોડા બોટલના ઘા કરી હુમલો કર્યો હતો.
આ બનાવ બાદ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી તેમજ પીઆઈ આર.જી.બારોટ સહિતનો સ્ટાફ તાત્કાલીક કુંભારવાડા ખાતે દોડી ગયો હતો અને સ્થિતિ કાબુમાં લીધી હતી. આ બનાવ બાદ આખી રાત પોલીસે કોમ્બીંગ કર્યુ હતું અને ભારેલા અગ્નિની સ્થિતિ વચ્ચે આ બનાવમાં મુસ્લિમ જુથના ત્રણ અને ભરવાડ જૂથના 4 એમ સાત શખ્સોની ધરપકડ કરી છે.