આઈસીસી વન-ડે વર્લ્ડકપની 13મી સીઝનનું આયોજન આ વર્ષે ભારતમાં થવાનું છે. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ ભાગ લેશે કે નહીં તેના પર ફરી સસ્પેન્સ સર્જાઈ ગયું છે. ભારતે આગામી એશિયા કપ માટે પાકિસ્તાન જવાનો ઈનકાર કરી દીધો હતો ત્યારે હવે પાકિસ્તાન પણ ગીદડભપકી આપી રહ્યું છેકે તેની ક્રિકેટ ટીમ વિશ્વ કપ માટે ભારતનો પ્રવાસ કરશે નહીં. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમ સેઠીને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે હાથ ઉંચા કરીને બધું સરકારના નિર્ણય ઉપર ઢોળી દીધું હતું.
પીસીબીના પ્રમુખ નઝમ સેઠીએ ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડકપમાં પોતાની ટીમની ભાગીદારી પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે આ બધું સરકારની મંજૂરી ઉપર નિર્ભર કરે છે. સેઠીના આ વલણને કારણે આઈસીસી માટે વર્લ્ડકપના કાર્યક્રમને અંતિમ રૂપ આપવું હવે મુશ્કેલ બની જશે.
- Advertisement -
સેઠીની આ ટીપ્પણી એટલા માટે પણ આશ્ચર્યજનક છે કેમ કે એશિયન ક્રિકેટ કાઉન્સીલ (એસીસી)ના પ્રમુખ જય શાહ સહિત તમામ હિતધારકોએ પીસીબી પ્રમુખ દ્વારા પ્રસ્તાવિત એશિયા કપના હાઈબ્રિડ મોડલ પર આયોજન માટે સહમતિ આપી છે. સેઠીએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે જ્યાં સુધી ભારત અને પાકિસ્તાનની વાત છે તો તેમાં ન તો પીસીબી અને ન તો બીસીસીઆઈ નિર્ણય લઈ શકે છે.
આ મામલે નિર્ણય લેવા માટેનો અધિકાર માત્રને માત્ર સરકાર પાસે જ છે. આ મામલે અમારી સરકારે નિર્ણય લેવાનો છે. તેણે કહ્યું કે જેવી રીતે ટીમ ઈન્ડિયાની વાત આવે છે ત્યારે ભારત સરકાર નિર્ણય લ્યે છે કે ટીમ ક્યાં રમશે ત્યારે પાકિસ્તાન ટીમનું પણ આવું જ રહેશે.
અમને એ પૂછવાનો કોઈ મતલબ નથી કે પાકિસ્તાન ટીમ અમદાવાદમાં રમશે કે નહીં ? આ મુદ્દે સરકાર નિર્ણય કરશે કે અમારે ક્યાં રમવાનું છે.
- Advertisement -