કાવડ યાત્રાના રૂટ પર દુકાનદારોને નામ-ઓળખ લખવાની જરૂર નથી, માત્ર ખોરાક શાકાહારી છે કે માંસાહારી તે લખવું જરૂરી: સુપ્રીમ કોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
- Advertisement -
સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર દુકાનદારોને તેમની ઓળખ જાહેર કરવાના સરકારી આદેશ પર વચગાળાનો સ્ટે મૂક્યો છે. કોર્ટે સોમવારે કહ્યું કે દુકાનદારોએ તેમની ઓળખ જાહેર કરવાની જરૂર નથી. કોર્ટે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોને નોટિસ પાઠવીને શુક્રવાર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. આગામી સુનાવણી 26 જુલાઈએ થશે.
ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાના રૂટ પર દુકાન માલિકોના નામ લખવાનો આદેશ આપ્યો છે. એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ નામના એનજીઓએ 20 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં આ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. અરજીકર્તાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે લઘુમતીઓનો તેમની ઓળખના કારણે આર્થિક બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. આ ચિંતાજનક છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. તેમણે આવું ન કરવું જોઈતું હતું. હોટલ ચલાવનાર લોકો એ જણાવી શકે છે કે તેઓ કેવા પ્રકારનું ભોજન, શાકાહારી કે માસાહારી પીરસી રહ્યા છે. પરંતુ તેમણે પોતાનું નામ લખવા માટે મજબૂર કરી શકાય નહીં.
આ મામલામાં આગામી સુનાવણી 26મી જુલાઈના રોજ થશે. સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ હેઠળ એવું કહેવામાં આવ્યું છે કે દુકાનોના માલિકો અને કર્મચારીઓને તેમના નામ લખવા માટે દબાણ ન કરવું જોઈએ. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ સરકારના આદેશને એનજીઓ એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ કેસમાં જસ્ટિસ હૃષિકેશ રાય અને જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટીની બેન્ચે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન પૂછ્યું કે, શું આ પ્રેસ સ્ટેટમેન્ટ છે કે આદેશ. અરજદારના વકીલે સી.યુ. સિંહે કહ્યું કે, ઉત્તર પ્રદેશના જિલ્લા વહીવટીતંત્ર દુકાનદારો પર તેમના નામ અને મોબાઈલ નંબર દર્શાવવા માટે દબાણ કરી રહ્યું છે. કોઈ કાયદો પોલીસને આ કરવાનો અધિકાર આપતો નથી. કેવા પ્રકારનું ભોજન પીરસવામાં આવે છે તે તપાસવાની સત્તા માત્ર પોલીસ પાસે છે. દુકાનદાર અથવા તેના માલિકનું નામ ફરજિયાત બનાવી શકાય નહીં.
- Advertisement -
ઉત્તર પ્રદેશમાં સાવન મહિનામાં આયોજિત કાવડ યાત્રામાં દર વર્ષે લગભગ 4 કરોડ ભક્તો ભાગ લે છે. જેને કાવડિયા કહેવામાં આવે છે. આ કાવડિયા હરિદ્વારથી ગંગા જળ લઈને અલગ-અલગ શહેરોમાં બનેલા શિવાલયોમાં જળાભિષેક કરે છે.



