દિલ્હીમાં બાંધકામો પર રોક હતી, છતાં સેન્ટ્રલ વિસ્તારનું કામ ચાલુ હતું
ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ કેસની સુનાવણીમાં સુપ્રીમકોર્ટે સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, નિર્દેશો છતાં પરિણામ શૂન્ય આવ્યું. જો રાજ્ય સરકારો એનસીઆર અને આસપાસનાં ક્ષેત્રોમાં એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનના નિર્દેશ લાગુ નહીં કરે, તો અદાલત ટાસ્ક ફોર્સની રચના કરશે. આ દરમિયાન વકીલ વિકાસ સિંહે કહ્યું કે દિલ્હી-એનસીઆરમાં બાંધકામ પર પ્રતિબંધ છે, પરંતુ સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ ઝડપથી કામ કરી રહ્યો છે.
આ મુદ્દે ચીફ જસ્ટિસ એન. વી. રમનાએ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, અમે પ્રદૂષણ ઘટાડવા દિવસ-રાત એક કરી રહ્યા છીએ. સેન્ટ્રલ વિસ્તા, ઈન્ડસ્ટ્રીની સાથે તમામ સ્થળે બાંધકામ પર પ્રતિબંધ છે. શું ખરેખર પ્રતિબંધો છતાં સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટનું કામ ચાલે છે? આ મુદ્દે સરકાર જવાબ આપે.
- Advertisement -
દિલ્હી-એનસીઆરમાં સોમવારે એક્યુઆઈ 400 ઉપર રહ્યો. સ્કૂલ-કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સોમવારે ફરી ખૂલી. દિલ્હી સરકારની ઓફિસોમાં પણ વર્ક ફ્રોમ હોમની સુવિધા સંપૂર્ણપણે રદ થઈ ગઈ.
નવેમ્બરમાં પ્રદૂષિત હવાએ પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો
દિલ્હીમાં આ વર્ષે નવેમ્બરનો મહિનો છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ પ્રદૂષિત રહ્યો. આંકડા પ્રમાણે, નવેમ્બર 2016માં ગંભીર શ્રેણી એટલે કે 400થી ઉપરના એર ઈન્ડેક્સના 10 દિવસ નોંધાયા હતા. વર્ષ 2017માં 7, 2018માં 5, 2019માં 7 અને 2020માં 9 દિવસ આવા હતા. આ વર્ષે 28 નવેમ્બર સુધી ગંભીર શ્રેણીવાળા દિવસોની સંખ્યા 12 થઈ ગઈ છે. 14 દિવસ એર ઈન્ડેક્સ અત્યંત ખરાબ અને બે દિવસ ખરાબ શ્રેણીમાં હતો.