દુનિયાભરમાં હવે નવી બીમારીનો ખતરો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
કોરોના બાદ હવે વિશ્ર્વભરમાં નવી બીમારીનુ જોખમ વધ્યું છે. એક રિસર્ચમાં સુપરબગ્સની બીમારી અંગે મોટો ખુલાસો થયો છે, જે અનુસાર આગામી 25 વર્ષમાં વિશ્ર્વભરમાં આ નવી બીમારીથી આશરે 4 કરોડ લોકો મૃત્યુ પામશે. આ બીમારીને અત્યારથી કાબુમાં ન કરવામાં આવી તો મુશ્ર્કેલીઓ વધી શકે છે. સુપરબગ્સને એમઆર નામ આપવામાં આવ્યું છે, લેન્સેન્ટ જર્નલના રિપોર્ટમાં જણાવ્યું છે કે, 1990થી 2021 દરમિયાન આ સુપરબગ્સથી 10 લાખથી વધુ લોકોના મોત થશે.
સુપરબગ્સ બેક્ટેરિયા, વાયરસ, ફંગસ, પેરાસાઈટ્સ હોઈ શકે છે. આ બીમારીમાં અલગ-અલગ લક્ષણો જોવા મળે છે. જેમાં વધુ જોખમી લક્ષણોમાં ઝાડા, તાવ, વજનમાં ઘટાડો, સંડાસમાં લોહી પડવુ, શ્ર્વેતકણોમાં વધારો, કિડની ફેઈલ થવી સામેલ છે. આ સિવાય ઠંડી લાગવી, તાવ આવવો, મોઢામાં ચાંદા પડવા, સુસ્તી, ત્વચા લાલ થઈ જવી અને સોજો આવવો જેવા સામાન્ય લક્ષણો પણ જોવા મળે છે.
સુપરબગ્સના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 2050 સુધી અનેકગણી વધવાની શક્યતા છે. જેનાથી મૃત્યાંક 67 ટકા વધી શકે છે. આ ખતરનાક બીમારીથી લોકોને બચાવવા માટે જરૂરી પગલાંઓ અત્યારથી જ લેવામાં આવે તો મૃત્યાંકમાં ઘટાડો કરી શકાય છે. સાવચેતીના પગલાં સાથે 2050 સુધી 9.2 કરોડ લોકોને બચાવી શકાય છે. નોંધનીય છે, આ સર્વે રિપોર્ટ 204 દેશો અને ક્ષેત્રોમાંથી 52 કરોડ લોકોના પર્સનલ રેકોર્ડ પરથી તૈયાર કરવામાં આવ્યો હતો.
શું છે સુપરબગ્સ?
સુપરબગ્સ એ એ પ્રકારના બેક્ટેરિયા અથવા પેથોજેન્સનો સમૂહ છે, જે એન્ટિબાયોટિક્સ માટે પ્રતિરોધક બની ગયા છે, જેથી તેની સારવાર કરવી ખૂબ મુશ્કેલ બને છે.
- Advertisement -
આ બીમારીમાં દવાઓની પણ અસર નહીં થાય!
રિસર્ચ મુજબ, આ બીમારી એટલી ગંભીર હશે કે, તેના પર દવાઓની અસર થશે નહીં, સુપરબગ્સ પર બેક્ટેરિયા અને એન્ટિબાયોટિકની અસર થશે નહીં. બીજી તરફ રાહતના સમાચાર પણ મળ્યા છે કે, છેલ્લા થોડા સમયથી નવજાત બાળકોમાં આ ચેપ લાગવાની શક્યતા ઘટી છે. જો બાળકોમાં આ બીમારી ફેલાઈ તો તેની સારવાર કરવી અત્યંત મુશ્ર્કેલ બનશે. 1990થી 2021 દરમિયાન 70 વર્ષ કે તેથી વધુ વયના લોકોમાં મૃત્યાંક 80 ટકા વધ્યો છે. 2021માં આ આંકડો બમણો થયો હતો.