ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ હાલ ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ છે, પણ તેમનાં ધર્મપત્ની સુનીતા કેજરીવાલ તેમના વતી પ્રચાર કરી રહ્યાં છે. ગુરુવારે તેઓ ગુજરાત પહોંચ્યાં હતાં, જ્યાં ભાવનગર અને ભરૂચ બેઠકો પર રોડ શો કર્યા. આ બંને બેઠકો પર ઈંગઉઈં ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી લડી રહી છે. આ સભામાં ભાગ લેવા માટે પોતાને આમ આદમી કહેતા કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલ હેલિકોપ્ટર મારફતે આવ્યાં હતાં. જેનો વિડીયો સ્વયં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવીએ શેર કર્યો હતો. જોકે, પછીથી શું થયું તે તેમણે વિડીયો હટાવી લીધો હતો, હવે લોકો સવાલ કરી રહ્યા છે કે આખરે ‘આમ આદમી’ને હેલિકોપ્ટરની શું જરૂર છે? ટ્વિટર પર એક યુઝરે એક સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં ઈસુદાન ગઢવીની પોસ્ટ જોવા મળે છે અને નીચે લખવામાં આવ્યું છે કે જે-તે પોસ્ટ ડિલીટ થઈ ગઈ છે.
- Advertisement -
આ પોસ્ટમાં ઈસુદાને લખ્યું હતું- ‘લડીશું, જીતીશું. શ્રીમતી સુનીતા કેજરીવાલ અને સંદીપ પાઠકનું ભાવનગર આગમન દરમિયાન સ્વાગત કર્યું.’ આ પોસ્ટ 2 મે, 2024ના રોજ સાંજે 5:37 કલાકે કરવામાં આવી છે. યુઝરે આ સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું કે, ઈસુદાન ગઢવીએ આ વિડીયો ડિલીટ કેમ કરવો પડ્યો? લાગે છે કે તેમને ઉપરથી આદેશ આવ્યો હશે, કારણ કે આ વિડીયો વેગન-આર આમ આદમીના નેરેટિવને માફક આવતો નથી.’ ઉલ્લેખનીય છે કે કેજરીવાલ જ્યારે રાજકારણમાં આવ્યા ત્યારે તેમણે પોતે આમ આદમી હોવાની વાતો ચલાવી હતી અને મોટાં-વૈભવી વાહનોના સ્થાને પોતાની જૂની વેગન-આર કારનો જ ઉપયોગ કરતા હતા. જોકે, હવે તેઓ વેગન-આર વાપરતા નથી અને પત્ની પણ હવે હેલિકોપ્ટર અને મોટી કારમાં ફરતાં થઈ ગયાં છે.
ઈસુદાન ગઢવીએ સ્વાગતનો વિડીયો પોસ્ટ કર્યા બાદ ડિલીટ કર્યો: લોકોમાં બ્લુ વેગન-આરની પણ ચર્ચા