ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામ તરફ જવાના રસ્તે આવેલી જવાહર નવોદય સ્કૂલ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ચાલી રહી છે તેવામાં ફરી એક વખત સ્કૂલ કર્મચારીઓ પર ગંભીર આક્ષેપ કરતા યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે ધ્રાંગધ્રા ખાતે આવેલી જવાહર નવોદય સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પિતાએ પોતાના બાળકોને એમ.પી ખાતે બદલી કરી તેને ઈજા થઈ હોવાની જન વાલીને નહિ કરવાના આક્ષેપ સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરના આંબેડકર નગર વિસ્તારમાં રહેતા દીપકભાઈ મેકના પુત્રનું ગત બે વર્ષ પૂર્વે જવાહર નવોદય ખાતે અભ્યાસ કરવા માટે એડમિશન મળ્યું હોય જે બાદ બે વર્ષમાં પુત્રના અભ્યાસ ક્રમ દરમિયાન અવારનવાર દીપકભાઈએ જવાહર નવોદય ખાતે આવવા જવાનું થતું હોય
જે દરમિયાન સ્કૂલના અંદર પીવાના પાણી, સ્વચ્છતાના અભાવ સહિત વિદ્યાર્થીઓને પૂરતી રહેવાની સગવડ નહિ હોવાનું ધ્યાને આવતા આ તમામ બાબતે અન્ય વાલીઓને જાણ કરી તમામ ગતિવિધિના વિડિયો વાયરલ કરી સ્કૂલને ઘેરાવ કર્યો હતો આ બાબતે દીપકભાઈએ સ્કૂલમાં પ્રવેશ બંધી કરવામાં આવી હતી અને તેઓના પુત્રને ધ્રાંગધ્રા જવાહર નવોદય સ્કુલથી એમ.પી રાજ્ય ખાતે આવેલી સ્કૂલ ખાતે બદલી કરાઈ હતી અને હાલમાં જ એમ.પી ખાતે અભ્યાસ કરતા દીપકભાઈના પુત્રને ઈજા થવાના જાણ ધ્રાંગધ્રા જવાહર નવોદયના સ્ટાફને હોવા છતાં પણ વાલીને કરવામાં નહિ આવતા તથા વારંવાર પુત્રને પણ ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે સ્કૂલ સામે જ ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગયો હતો. જ્યારે દીપકભાઈ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જ્યારે ધ્રાંગધ્રા જવાહર નવોદય સ્કૂલ સામે ગંભીર આક્ષેપોને લઇ જિલ્લાભરના તંત્ર દોડતું થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જવાહર નવોદય સ્કૂલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત અને ત્યારબાદ વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને પીવાના પાણી અંગે બેદરકારી બદલ પણ સ્કૂલ વિવાદમાં આવી હતી. ત્યારે હાલ વિદ્યાર્થીના પિતા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ હાથ ધરતા હવે જવાહર નવોદય સ્ટાફની ફરી એક વખત બેદરકારી સામે આવતા કેવા પ્રકારના પગલાં ભરાય છે તે જોવું રહ્યું ?