સરકારના સ્પષ્ટ નિયમો હોવા છતાં શિક્ષકોએ સુરક્ષાના માપદંડો નેવે મૂક્યા
સ્કૂલના 157 વિદ્યાર્થી અને 12 શિક્ષકો સાસણ પ્રવાસે ગયા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શાળાનો પ્રવાસ એ વિદ્યાર્થીઓ માટે હંમેશાં આનંદ અને ઉલ્લાસનો વિષય હોય છે, પરંતુ જ્યારે શાળા સંચાલકો અને શિક્ષકોની બેદરકારી ભળે ત્યારે તે કેવી મોટી હોનારત સર્જી શકે છે તેનો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ભાજપના આગેવાન જયદીપ જલુની હાથીખાના વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલ દ્વારા યોજવામાં આવેલા પ્રવાસમાં શિક્ષકોની ગંભીર બેદરકારીને કારણે ધોરણ 8માં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થી હાર્દિક બારૈયાનું સાસણના નજીક આવેલા ’ધ ગીર ગેટ વે રિસોર્ટ’ના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે હસતા-રમતા બાળકોનો પ્રવાસ પળવારમાં માતમમાં ફેરવાઈ ગયો હતો અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમજ વાલીઓમાં ભારે રોષ અને આઘાતની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસ બંદોબસ્ત વિના, છઝઘમાં વાહન ચેક કરાવ્યા વિના નવયુગ સ્કૂલ પ્રવાસ લઇ ગયા, શિક્ષકોની બેદરકારીથી સાસણના રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં આ દુર્ઘટના બની હતી. આ ઘટનાએ શાળા સંચાલકોની પણ ગંભીર બેદરકારી છતી કરે છે. સરકારના સ્પષ્ટ નિયમો હોવા છતાં આ પ્રવાસમાં સુરક્ષાના માપદંડો નેવે મુકવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, રાજકોટની નવયુગ સ્કૂલના ધોરણ 5 થી 12ના કુલ 157 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકો સોમનાથ, સાસણ અને દેવળિયાના પ્રવાસે નીકળ્યા હતા. આજે 19 ડિસેમ્બરના રોજ સોમનાથ દર્શન કરીને પરત ફરતી વખતે બપોરે 12 વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓ સાસણ-તાલાલા રોડ પર આવેલા રિસોર્ટમાં જમવા અને વિરામ માટે રોકાયા હતા. જમ્યા બાદ રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નહાતી વખતે 13 વર્ષીય હાર્દિક મુકેશભાઈ બારૈયા અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હોટલના સ્ટાફ અને શિક્ષકો દ્વારા તેને તાત્કાલિક બહાર કાઢી તાલાલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબ ડો. ઉર્જાએ તેને મૃત જાહેર કર્યો હતો.
મામલતદારની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમ
- Advertisement -
તમામ પ્રકારની જઘઙનું પાલન કરાયું હોવાનું શાળા સંચાલકનો દાવો
નવયુગ સ્કૂલના સંચાલક જયદિપ જલુએ જણાવ્યુ હતુ કે રીસોર્ટમાં વિદ્યાર્થીઓ સાથે તમામ શિક્ષકો પણ હાજર હતા. રીસોર્ટમાં એક સાથે તમામ વિદ્યાર્થીઓ જમી ન શકે તે માટે વારા ફરતી વારા તમામ વિદ્યાર્થીઓ જમવા ગયા હતા તે સમય દરમિયાન નજર ચૂક કરી વિદ્યાર્થીઓ સ્વિમીંગ પુલમાં ન્હાવા માટે ગયા હતા. આ ઉપરાંત તમામ પ્રકારની એસ.ઓ.પી.નું પાલન કરવામાં આવ્યુ છે.
શાળા સંચાલકોએ માત્ર જાણ કરી, બંદોબસ્ત માગ્યો ન હતો : પી.આઈ
બી.વી. બોરીસાગર (પી.આઈ, એ-ડિવિઝન)એ જમાવ્યું હતું કે, શાળા પ્રવાસ લઇ જતી હોય તો તેણે પોલીસને જાણ કરવાની સાથે બંદોબસ્ત પણ માંગવાનો નિયમ છે. અગાઉ બે સરકારી શાળા કચ્છ અને અન્ય સ્થળના પ્રવાસે ગઈ હતી તેમણે અમારી પાસે બંદોબસ્ત માંગ્યો હતો, જેમાં અમે એક મહિલા અને એક પુરુષ કોન્સ્ટેબલને સાથે મોકલ્યા હતા. પરંતુ આ નવયુગ દ્વારા અમને 9 ડિસેમ્બરે પ્રવાસમાં જઈ રહ્યા હોવાની માત્ર જાણ કરી હતી. બંદોબસ્ત માંગ્યો ન હતો.
તાલાલા હોસ્પિટલમાં માતા-પિતાનું આક્રંદ
ઘટનાની જાણ થતા જ હાર્દિકના માતા-પિતા રાજકોટથી તાલાલા દોડી આવ્યા હતા. હોસ્પિટલના પટાંગણમાં જ્યારે માતા-પિતાએ પોતાના લાડકવાયા દીકરાનો મૃતદેહ જોયો ત્યારે તેમના હૈયાફાટ રૂદનથી ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખ ભીની થઈ ગઈ હતી. “દીકરા ઊભો થા.. જો પપ્પા આવી ગયા” – પિતાના આ શબ્દોએ પથ્થર દિલના માણસને પણ હચમચાવી દીધો હતો. હાર્દિક બે બહેનોનો એકનો એક ભાઈ હતો અને તેના પિતા કેમિકલ ફેક્ટરીમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
શિક્ષકો પર બેદરકારીના આક્ષેપ અને હોબાળો
મૃતક હાર્દિકના પરિવારજનોએ સ્કૂલના શિક્ષકો પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. પરિવારનું કહેવું છે કે, આટલી મોટી સંખ્યામાં બાળકો હોવા છતાં શિક્ષકોએ સ્વિમિંગ પૂલ પાસે પૂરતું ધ્યાન કેમ ન રાખ્યું? હોસ્પિટલ ખાતે જ્યારે શિક્ષકો સામે આવ્યા ત્યારે મૃતકના મામાનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને તેઓ શિક્ષકોને મારવા દોડ્યા હતા, જોકે પોલીસે સમયસૂચકતા વાપરી મામલો થાળે પાડ્યો હતો.
રિસોર્ટના ઈઈઝટ ફૂટેજ તપાસવા માગ
ઘટનાની ગંભીરતા જોતા વિસાવદર અઈઙ રોહિત ડાંગર, તાલાલા મામલતદાર અને પીઆઈ સહિતનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. મૃતકના પિતાએ હાથ જોડીને પોલીસ પાસે માંગ કરી છે કે રિસોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે કે તેમનો પુત્ર પૂલમાં કેવી રીતે પહોંચ્યો અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય.



