સામાજીક કાર્યકરો દ્વારા મોરબી સિવિલના સત્તાધીશો અને કલેક્ટરને લેખિત ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં મેડિકલ કોલેજ શરૂ થવાના કાઉન્ટડાઉન વચ્ચે હાલમાં તમામ તબીબોની જગ્યા ભરાઈ ગઈ હોવા છતાં સામાન્ય તકલીફવાળા દર્દીઓને પણ રાજકોટ રીફર કરવાનો જૂનો રવૈયો ચાલુ રાખવામાં આવતા ખોટી રીતે હેરાન પરેશાન થતા દર્દીઓની મુશ્કેલી સમજવા સામાજીક કાર્યકર્તાઓએ જીલ્લા કલેકટર અને સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને રોષભેર રજુઆત કરી છે. સતત કોઈને કોઈ વિવાદમાં સંપડાયેલી રહેતી મોરબી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોક ખરચરીયા, જીગ્નેશ પંડ્યા અને મુસાભાઇ બ્લોચ દ્વારા જીલ્લા કલેકટર અને સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ અને મેડિકલ કોલેજના ડીનને રજુઆત કરવામાં આવી છે કે, મોરબી શહેરની એકમાત્ર સિવિલ હોસ્પિટલમાં તમામ સ્ટાફ પૂરતો હોવા છતાં સામાન્યમાં સામાન્ય બીમારી માટે દર્દીઓને રાજકોટ રીફર કરવામાં આવી રહ્યા છે. વધુમાં હવે રાજકોટ હોસ્પિટલ તંત્ર પણ કહે છે કે મોરબી પૂરતો સ્ટાફ છે તો અહીં કેમ આવો છો ? મોરબી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ માસથી તમામ તબીબો હોવા છતાં સામાન્ય સારવાર માટે કે નાની બીમારી માટે દર્દીઓને રાજકોટ મોકલી હેરાન કરવામાં આવતા હોય આ ગંભીર બાબતે ડીન દ્વારા 24 કલાક એક્સરે વિભાગ ચાલુ રહે તેમજ ઓર્થોપેડિક અને ગાયનેક વિભાગ પણ રાત્રીના સમયે ચાલુ રહે તેવી તાકીદે વ્યવસ્થા ગોઠવી સિવિલ હોસ્પિટલના નવા બનેલ બિલ્ડિંગને કાર્યરત કરવા માંગ ઉઠાવી પાર્કિંગ તરફની દીવાલો ઉંચી કરી અસામાજિક તત્વોનો ત્રાસ દૂર કરવા માંગ ઉઠાવવામાં આવી છે.