પુજીત રૂપાણી મેમોરીયસ ટ્રસ્ટના જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટની પ્રવેશ પરીક્ષા સંપન્ન
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
આર્થિક રીતે નબળાં પરંતુ ભણવામાં હોશિયાર વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહાયરૂપ બનીને જીવનમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુ સાથે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે દાયકાથી શૈક્ષણિક પ્રોજેકટ જ્ઞાન પ્રબોધિની ચલાવવામાં આવે છે. જે અન્વયે ધોરણ 7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરિક્ષા લઈને ઉચ્ચ ગુણો સાથે પાસ થયેલાં 20 વિદ્યાર્થીઓની ધોરણ 8 થી 12 સુધીના અભ્યાસની જવાબદારી ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવે છે. જે અન્વયે ટ્રસ્ટ દ્વારા ગઈકાલના રોજ પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. કરણપરામાં આવેલી ચાણક્ય સ્કુલમાં આશરે જરૂરિયાતમંદ 389 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ખંત પૂર્વક પ્રવેશ પરીક્ષા આપી હતી. આ પ્રવેશ પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજવિદ્યાના વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી.
આ પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓમાંથી આશરે ટોપ 20 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓને ધો.8ની શહેરની શ્રેષ્ઠ શાળાઓમાં એડમિશન અપાવીને ધો.12 સુધીનું તમામ શૈક્ષણિક ખર્ચ જેવો કે સ્કુલ ફી, પુસ્તકો, માર્ગદર્શિકાઓ, યુનિફોર્મ, બુટ-મોજા, દફતર તથા સ્કુલે આવવા જવા માટે સાઈકલ પણ આપવામાં આવશે.
આ વિદ્યાર્થીઓ માટે ગ્રુપ ટ્યુશનની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. છેલ્લાં 22 વર્ષથી ચાલતા આ પ્રોજેકટની શરૂઆતની બેંચના વિદ્યાર્થીઓ ડોકટર્સ, એન્જિનિયર્સ, પ્રાધ્યાપક, ફાર્માસિસ્ટ જેવી ડિગ્રીઓ મેળવી પગભર થઈ અન્યો માટે પ્રેરણાદાયી બની રહ્યા છે.