ST નિગમે 2021માં રૂા.3770 કરોડ ચૂકવવાના બાકી હતા
ખાસ-ખબર સંવાદદાતા
એસટી નિગમે રાજય સરકારને ડિસેમ્બર-2023ની સ્થિતિએ 4123.57 કરોડ રૂપિયાની રકમ ચૂકવવાની બાકી હોવાની માહિતી વિધાનસભામાં અપાઈ છે. છેલ્લા 18 વર્ષથી એસટી નિગમ પાસે બાકી લોનની રકમ લેવાની નીકળે છે. તે ઉપરાંત બાકી મોટર વ્હીકલ ટેકસ લોનની રકમ એપ્રિલ 2021 અને પેસેન્જર ટેકસની રકમ 2017થી ચૂકવવાની બાકી છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા રાજય સરકારને એસટી નિગમ પાસેથી 3770 કરોડ રૂપિયાની રકમ લેવાની નીકળતી હતી તેમાંથી કેટલી રકમ ચૂકવાઈ તેનો સવાલ પૂછાયો હતો. તેનો લેખિતમાં જવાબ આપતા વાહન વ્યવહાર વિભાગે જણાવ્યું હતું કે, 2021ની સ્થિતિએ એસટી નિગમ પાસેથી 3770 કરોડ લેવાના નીકળતા હતા. 2023ની સ્થિતિએ 137.43 કરોડની રકમ મેળવાઈ છે. તેમાં બાકી પેસેન્જર ટેકસની રકમ 97.87 કરોડ અને બાકી મોટર વ્હીકલ ટેકસની રકમ 39.56 કરોડનો સમાવેશ થાય છે. હાલની સ્થિતિએ એસટી નિગમ પાસેથી કુલ રૂા.4123.57 કરોડ રૂપિયા સરકારે લેવાના થાય છે. કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા દ્વારા ગુજરાતી ફિલ્મોના નિર્માતાઓને પ્રોત્સાહન કરવા માટે અરજી મંગાવાય છે તેવી પણ અરજી પડતર હતી. તે પૈકી ડિસેમ્બર 2023ની સ્થિતિએ કેટલા નિર્માતાને સબસીડી ચુકવવાની બાકી છે તેવો સવાલ પૂછાયો હતો. જેના જવાબમાં માહિતી અને પ્રસારણ વિભાગે જણાવ્યું હતું કે, 60 નિર્માતાને ફિલ્મ માટે સબસીડી ચૂકવી દેવાઈ છે જયારે 54 અરજી પડતર છે. રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલી આઈટી પોલીસી હેઠળ આઈટી સેકટરના સાત ઉદ્યોગોને લાંબા સમયથી 1 કરોડ રૂપિયાની સબસીડી આપવાની બાકી છે. વિધાનસભામાં કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા દ્વારા વિજ્ઞાન અને પ્રૌદ્યોગીકી વિભાગને પૂછાયેલા સવાલના જવાબમાં આ માહિતી અપાઈ હતી. તે સાથે જણાવાયું હતું કે, આ ઉદ્યોગો પાસેથી જરૂરી આધાર પુરાવા માંગ્યા છે તેની ચકાસણી પછી મંજુરી મળતા સહાય ચૂકવાશે.