સાંસદ ચંદુભાઈ શિહોરાના હસ્તે બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રૂ. 2.21 કરોડના ખર્ચે નિર્માણ થયેલ એસ.ટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર લોકસભા સીટના સાંસદ ચંદુભાઈ શિહોરાના હસ્તે રીબીન કાપી તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરાએ પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, મુસાફરોની યાત્રા ઉત્તમોત્તમ, સુવિધાયુક્ત અને સુગમ બને તેવી રાજ્ય સરકારની યોજના છે. ચામુંડા માતાજીના સાનિધ્યમાં ચોટીલા ખાતે નૂતન બસ સ્ટેન્ડનું નિર્માણ થયું છે ત્યારે યાત્રાળુઓને આવવા તથા જવા માટે નવીનતમ પરિવહનની સુવિધા મળી રહેશે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન થકી જે વિકાસ કામોના ખાતમુહૂર્ત સંસદસભ્ય કે ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યા હોય તે જ વિકાસ કામોના લોકાર્પણ પણ જે તે સંસદસભ્ય કે ધારાસભ્ય દ્વારા જ કરવામાં આવી રહ્યા છે. રાજ્યભરમાં પરિવહન ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે.
- Advertisement -
મુસાફરોની સુવિધાઓમાં ઉતરોતર વધારો કરવા માટે એસ.ટી.નિગમ દ્વારા ચોમેર વિકાસ થઈ રહ્યો છે. આજે ગામડાઓને પણ શહેર સાથે જોડવામાં આવ્યા છે. ગામડાઓમાં પણ શહેર માફક સુવિધાઓ આપી ગામડાઓને જીવંત રાખવાના પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ તકે ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણે નવીન બસ સ્ટેન્ડની સુવિધાઓ વિશે વિશ્વ વિખ્યાત ચોટીલા યાત્રાધામ ખાતે નૂતન એસ.ટી. ડેપોના નિર્માણ થકી યાત્રાળુઓની યાત્રા સુગમ, સુરક્ષિત અને સુવિધાયુક્ત બની રહેશે તેમ જણાવ્યું હતું. ચોટીલા ખાતે અન્ય રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં યાત્રાળુઓ આવતા હોય છે ત્યારે, મોટા શહેરના બસ સ્ટેન્ડમાં હોય તેવી આધુનિક સુવિધાઓ સાથેનું આ બસ સ્ટેન્ડ લોકોને ખૂબ ઉપયોગી બની રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિકાસકામોની વણઝાર ઊભી કરવામાં આવી છે, ત્યારે નવા રોડ રસ્તાઓ, બસ સ્ટેન્ડ, પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે નવી પાઇપલાઇનના કામ લોક હિતાર્થે કરવામાં આવી રહ્યા છે.