કલેક્ટર કે.બી. ઝવેરી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજન: તિરંગા રોશનીથી મણિમંદિર ઝળહળી ઉઠ્યું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
- Advertisement -
ભારતીય સંસ્કૃતિના મહત્ત્વપૂર્ણ પર્વ દીપોત્સવીને યુનેસ્કો દ્વારા ઇન્ટેજીબલ કલ્ચર હેરિટેજમાં સ્થાન મળતાં મોરબીમાં ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. મોરબીની ઐતિહાસિક ધરોહર એવા મણિમંદિર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને મહાનગરપાલિકા કમિશ્નર સ્વપ્નિલ ખરે સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ગૌરવશાળી ક્ષણને વધાવી લેતા જાણે ડિસેમ્બરમાં દિવાળી ઉજવાતી હોય તેવા ભાવ સાથે મણિમંદિરમાં 5 હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. મણિમંદિરના મહેલ પર તિરંગા રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો અને મંદિર પરિસરમાં રંગોળીઓ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાએ વિજેતા બનેલા બાળકોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. કલેક્ટર સહિતના અધિકારીઓએ મંદિરની અંદર આવેલા લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ અને મહાકાળી માતાના મંદિરોમાં આરતી ઉતારી હતી.



