– રાયડામાં 11 ટકા, ચણામાં 5.5 ટકા અને મકાઈના વાવેતરમાં 51.43 ટકાનો જબરો વધારો
દેશમાં શિયાળુ પાકોના વાવેતરમાં હવે વેગ જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષના સરેરાશ વાવેતરની તુલનાએ 75 ટકા જેટલી વાવણી પૂરી થઈ ગઈ છે. સરકારી આંકડાઓ મુજબ રવી વાવેતરના ગત વર્ષની તુલનાએ 6.4 ટકાનો વધારો નોંધાયો છે. જેમાં ઘઉંનું વાવેતર પાંચ ટકા ઉપર વધ્યું છે.
- Advertisement -
કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા તાજેતરમાં આંકડાઓ જાહેર કરવામાં આવ્યા. જેમાં દેશમાં બીજી ડિસેમ્બર સુધીમાં કુલ રવિ પાકોનું વાવેતર 450 લાખ હેકટરમાં થયું છે જે ગત વર્ષે આજ સમયે 423 લાખ હેકટરમાં થયું હતું. આમ વાવેતરમાં 6.4 ટકાનો વધારો થયો હતો. દેશમાં ઘઉંનું વાવેતર 200 લાખ હેકટરને પાર થઈને 211 લાખ હેકટરમાં થયું છે. જે ગત વર્ષે આજ સમયે 200 લાખ હેકટરમાં હતું. આમ વાવેતરમાં 5.36 ટકાનો વધારો થયો છે.
કઠોળ પાકોનું વાવેતર ચાર ટકા વધ્યુ છે જેમાં ચણાનો વાવેતર વિસ્તાર 5.3 ટકા વધીને 80 લાખ હેકટરે પહોંચ્યો છે. ડાંગરની પણ આજ સ્થિતિના ગત વર્ષે 9.53 લાખ હેકટરમાં થયેલ વાવેતરમાં વધારો થઈ 10.62 લાખ હેકટરમાં નોંધાયું છે. તેલીબિયા પાકોમાં રાયડાનું વાવેતર 11 ટકા વધીને 77 લાખ હેકટર થયું છે.
મગફળીની વાવણીમાં બે ટકાનો ઘટાડો થયો છે જે હવે 2.67 લાખ હેકટરમાં થયું છે. ધાન્ય પાકોમાં જુવાર- બાજરીના વાવેતર સરેરાશ ઘટયા છે. મકાઈના વાવેતરમાં જબરો વધારો 51 ટકાનો થતા નવ લાખ હેકટરમાં વાવેતર નોંધાયું છે. રાગી-જવની પણ આજ પરિસ્થિતિ છે. રાગીમાં 28.57 ટકા અને જવમાં 15.97 ટકા વધારો થયો છે.