સોરઠનાં 13 તાલુકામાં 30 ઇંચ કરતા વધારે વરસાદ ખાબકી ગયો : 12 તાલુકામાં સિઝનનો સરેરાશ 85 ટકા કરતાં વધુ વરસાદ થયો
કેશોદ, સુત્રાપાડામાં વધુ બે-બે ઇંચ વરસાદ : માણાવદર, માળિયા, વેરાવળમાં 1-1 ઇંચ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ હવે નુકસાન કરી રહ્યો છે. સોરઠ પંથક લીલા દુષ્કાળ તરફ આગળ વધી રહ્યો છે. સોરઠનાં 13 તાલુકામાં 30 ઇંચ કરતા વધારે વરસાદ પડી ગયો છે. જયારે 12 તાલુકામાં 85 ટકા કરતા વધારે વરસાદ થયો છે. વહેલી સવારથી બપોરનાં 12 વાગ્યા સુધીમાં કેશોદ અને સુત્રાપાડામાં વધુ બે-બે ઇંચ વરસાદ થયો હતો.જયારે માણાવદર,માળિયા અને વેરાવળમાં એક-એક ઇંચ વરસાદ થયો હતો.સોરઠમાં સરેરાશ 93 ટકા જેટલો વરસાદ પડી ગયો છે.
ચાલુ વર્ષે ચોમાસાનાં પ્રારંભથી સારો વરસાદ પડી રહ્યો છે. જુલાઇ મહિનાનાં પ્રારંભમાં જ મોટાભાગનાં ડેમ,જળાશયો ભરાઇ ગયા હતાં. મગફળી સહિતનાં પાકનું વાવેતર કર્યા બાદ સતત વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારમાં ઉગાવામાં સમસ્યા થઇ હતી. સતત વરસાદનાં પગલે નીંદામણ સહિતની કામગીરી પણ ખેડૂતો કરી શકયા ન હતાં. થોડા દિવસ પહેલા વરસાદે વિરામ લેતા ખેડૂતો કામે લાગ્યા હતાં. પરંતુ ફરી વરસાદ શરૂ થયો છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં વહેલી સવારમાં તો કેટલાક વિસ્તારમાં બપોર બાદ વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ થયો હતો.જેમાં કેશોદમાં બે ઇંચ વરસાદ થયો હતો.જયારે માણાવદર,માળિયા,વિસાવદરમાં એક-એક ઇંચ વરસાદ થયો છે. જયારે ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડામાં બે ઇંચ વરસાદ થયો હતો. જયારે વેરાવળમાં એક ઇંચ વરસાદ થયો હતો. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં 16 તાલુકામાં પડી રહેલા સતત વરસાદનાં પગલે હવે ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા છે. અનેક તાલુકામાં મગફળ સહિતનાં પાકમાં પાણી ભરાઇ ગયા છે. અનેક ગામડામાં ખેતરમાં રેસ પડી ગયા ગયા છે. પાકને નુકસાન થઇ રહ્યું છે. સોરઠનાં 16 તાલુકા પૈકી 13 તાલુકામાં 30 ઇંચ કરતા વધારે વરસાદ પડી ગયો છે. જયારે 3 તાલુકામાં 20 થી 30 ઇંચ સુધીનો વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુત્રાપાડામાં 58.32 ઇંચ વરસાદ થયો છે અને કોડીનારમાં 44 ઇંચ અને વિસાવદરમાં 42 ઇંચ વરસાદ થયો છે. આ ઉપરાંત સોરઠનાં 12 તાલુકામાં સિઝનનો સરેરાશ વરસાદ 85 ટકા કરતા વધારે થયો છે. જેમાં સૌથી વધારે વરસાદ સુત્રાપાડામં 175 ટકા થઇ ગયો છે. કોડીનાર,માણાવદરમાં 100 ટકા કરતા વધારે વરસાદ થયો છે. જયારે વેરાવળ,માંગરોળ, વિસાવદરમાં 90 ટકા કરતા વધારે વરસાદ થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો સરેરાશ વરસાદ 98.43 ટકા થઇ ગયો છે. જયારે જૂનાગઢ જિલ્લામાં સિઝનનો સરેરાશ વરસાદ 88.54 ટકા થઇ ગયો છે. સતત વરસાદનાં પગલે સોરઠનાં અનેક ગામડા અને તાલુકામાં લીલા દુષ્કાળની ભીતી સેવાઇ રહી છે. મગફળીનાં પાકમાં રેસનાં પાણી ભરાઇ ગયા છે.
- Advertisement -
કૂવા, બોર છલોછલ!
સોરઠ પંથકનાં અનેક તાલુકાનાં ગામડમાં ખુબ જ વરસાદ પડ્યો છે. સતત વરસાદનાં પગલે કુવા, બોર ભરાઇ ગયા છે. કુવા, બોરમાં ઉપરથી પાણી જઇ રહ્યું છે. કુવા અને બોરમાંથી સારુ એવુ પાણી જઇ રહ્યું છે.
સતત ભેજ રહેતા મુંડા આવ્યા, મગફળીને નુકસાન
કિસાન સંઘનાં મનસુખભાઇ પટોડિયાએ કહ્યું હતું કે, રેસ વાળા વિસ્તારમાં ખેતરમાં રેસ પડી ગયા છે. પરંતુ ગત વર્ષે મુંડા આવ્યા ન હતાં. ચાલુ વર્ષે મુંડા આવ્યાં છે. જેના કારણે અનેક ખેડૂતોએ મગફળી ઉપાડી નાખી છે. સતત ભેજનું વાતાવરણ રહેતા મુંડા આવ્યાં છે. જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે.