જુલાઈ મહિનામાં 9.68 કરોડ લોકોએ ઘર બેઠાં સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં
ખાસ-ખબર સંવાદદાતા
જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને પ્રતિવર્ષ કરોડો યાત્રીઓ દર્શને આવે છે. ત્યારે સોમનાથ તીર્થમાં આવતા ભાવિકો માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી વિશ્ર્વ સ્તરીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પરંતુ ભક્તોને ઘરે બેઠા પ્રતિદિન સોમનાથ મહાદેવના દર્શનનો લાભ મળી શકે તેના માટે વર્ષ 2015 થી સોશિયલ મીડિયા દ્વારા ઇ-દર્શન કરી શકે તેના માટે વિશેષ વ્યવસ્થા શરૂ કરાઇ છે.
ભકતો ને ઘરે બેઠા એમના સોશિયલ મીડિયા એપ ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ ના માધ્યમથી સોમનાથ મહાદેવના પ્રાત:, મધ્યાહ્ન અને સાયમ શૃંગારના દર્શન નિયમિત રીતે મળી રહે તેવી સુવિધા શરૂ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં લોકડાઉન થયું ત્યારે કરોડો ભક્તોને સોશિયલ મીડિયાના માધ્યમથી સોમનાથ મહાદેવના દર્શન કરાવીને ટ્રસ્ટ દ્વારા સકારાત્મક ઊર્જાનો પ્રસાર કરવામાં આવ્યો હતો.
- Advertisement -
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફેસબુક, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર સહિત 7 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ટ્રસ્ટની વેબસાઇટ પર આ દર્શન વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.વર્ષ 2021માં સોમનાથના સોશિયલ મીડિયા પર 45 થી વધુ દેશોના 77.79 કરોડ લોકોએ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો,ત્યાર બાદ પણ સોશિયલ મીડિયા પર દર્શનાર્થીઓની સંખ્યામાં ઉતરોત્તર વધારો નોંધાયો છે. ગત જુલાઇ 2022 માં સોમનાથ મંદિરના વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમ પર કુલ 9.68 કરોડ લોકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. વિશ્ર્વના 45 થી વધુ દેશોમાં ભકતો દૈનિક રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી સોમનાથ મહાદેવના દર્શન કરે છે. યુવા પેઢીની ભક્તિમાં સુદ્રઢ કરવા યુવાઓમાં પ્રચલિત રીલ્સ વિડિયો મારફત પણ સોમનાથ મંદિર દરેક યુવાનોમાં શ્રદ્ધા કેન્દ્ર બન્યું છે. પ્રતિ દિવસ સોમનાથ મંદિરની રિલ્સ અને વોટ્સેપ સ્ટેટસ વિશાળ જન સમૂહ સુધી પહોંચે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સોમનાથ મંદિરને તિરંગા લાઇટિંગની રિલ્સ વીડિયો એક કરોડથી વધુ ભાવિકો સુધી પહોંચી છે. જે એક વિક્રમ જનક સિદ્ધિ કહી શકાય.