જીવનમાં આવતી વિભિન્ન પરિસ્થિતિ દર્શાવે છે મહાદેવને અર્પણ કરાયેલાં વિવિધ રંગના વસ્ત્રો
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.26
આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ અષ્ટમી પર રંગબેરંગી વસ્ત્ર દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારના પીતાંબર, રંગબેરંગી ફુલો, ચંદન સહિતથી સોમનાથ મહાદેવનો શૃંગાર કરવામાં આવ્યો હતો. માનવ જીવન હંમેશા પરિવર્તનને આધીન રહ્યું છે. જીવનમાં ક્યારેક કેસરિયા વસંત જેવી ઉત્સાહની પરિસ્થિતિ હોય છે, તો ક્યારેક દુ:ખની લાગણી પણ અનુભવવી પડે છે. જે રીતે વિવિધ રંગો મહાદેવના શૃંગારની સુંદરતામાં વધારો કરે છે. તેવી જ રીતે વિવિધ પરિસ્થિતિઓ માનવ જીવનને વધુ જીવવા લાયક અને આનંદદાયી બનાવે છે. જીવનમાં આવતી પરિસ્થિતિઓથી વિચલિત ન થાય તે જ મહાદેવનો સાચો ભક્ત કહેવાય છે. મહાદેવ પર ભરોસો રાખીને જીવનમાં દરેક પરિસ્થિતિ માં સકારાત્મક રહેવું તેવા સંદેશ સાથે મહાદેવને રંગબેરંગી વસ્ત્રોથી આભૂષિત કરવામાં આવ્યા હતા.