આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી જ્યારે આતંકવાદીઓએ પોલીસ ટ્રેનિંગ સ્કૂલના મુખ્ય ગેટ પર વિસ્ફોટકો ભરેલી ટ્રક ઘુસાડી દીધી હતી, જેમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.
પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક પોલીસ તાલીમ કેન્દ્ર પર એક મોટો હુમલો થયો છે. જેમાં 6 આતંકવાદી અને 7 પોલીસકર્મી સહિત 13 લોકોના મોત થયા છે. પાકિસ્તાનનો દાવો છે કે તે એક આતંકવાદી હુમલો હતો. પાકિસ્તાની પોલીસના જણાવ્યા અનુસાર હુમલા બાદ પાંચ કલાક સુધી અથડામણ ચાલી હતી. જેમાં છ આતંકવાદીઓ અને સાત પોલીસકર્મીઓ માર્યા ગયા હતા.
- Advertisement -
ડેરા ઇસ્માઇલ ખાનના રત્તા કુલાચી પોલીસ તાલીમ કેન્દ્ર પર હુમલો
આ હુમલો ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં રત્તા કુલાચી પોલીસ તાલીમ શાળામાં થયો હતો. પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં શરૂઆતમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે અન્ય ઘણા લોકો પરિસરમાં છુપાયા હતા. શુક્રવારે મોડી રાત્રે આતંકવાદીઓને પકડવા માટે શરૂ કરાયેલા ઓપરેશન દરમિયાન વધુ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં સાત પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા.
વિસ્ફોટકો, આધુનિક શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો
- Advertisement -
આ અંગે ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લા પોલીસ અધિકારી સાહિબજાદા સજ્જાદ અહેમદ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. જયારે સુરક્ષા દળોએ તેમની પાસેથી વિસ્ફોટકો, આધુનિક શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો. જયારે ઘાયલ 13 પોલીસકર્મીઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ખૈબર પખ્તુનખ્વાના પોલીસ મહાનિરીક્ષક, ઝુલ્ફીકાર હમીદે પુષ્ટિ કરી કે વિસ્તારને સંપૂર્ણપણે સાફ કરી દેવામાં આવ્યો છે, અને બાકી રહેલા જોખમોને દૂર કરવા માટે સર્ચ અને ક્લીન-અપ ઓપરેશન ચાલી રહ્યું છે. આઈજીપીએ સફળ ઓપરેશન માટે આરપીઓ અને ડીપીઓના નેતૃત્વની પ્રશંસા કરી, શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને મિશનમાં ભાગ લેનારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે ઈનામોની જાહેરાત કરી.