દાદાને 1100 કિલો ગોળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે 28-12-2024ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને હિમવર્ષાની ઝાંખી કરાવવામાં આવી હતી. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સવારે 9:00 કલાકે શ્રીકષ્ટભંનજનદેવ દાદાને 1100 કિલો ગોળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.16 -12-2024 થી 14 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે 7 થી 12 અને સાંજે : 3 થી 6 કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે. હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.