દીપડાની દહેશત વચ્ચે વનવિભાગને કસરત : વાગુદડ, મુંજકા, કણકોટમાં પિંજરા મુકાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લામાં દીપડો દેખાયો હોવાની ચર્ચા છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે. તેમાં પણ છેલ્લા ચાર દિવસથી શહેરી વિસ્તાર નજીક દીપડો આવી પહોંચતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટ જિલ્લાના વાગુદડ નજીક દીપડાને ગ્રામ લોકોએ જોયો હોવાની માહિતી બાદ વન વિભાગે સર્ચ હાથ ધર્યું હતું. જે બાદ શહેરની ભાગોડે શનિવારે મુંજકા અને રવિવારે કણકોટ નજીક દેખાયો હોવાની માહિતી ગ્રામજનો દ્વારા વન વિભાગને આપવામાં આવતા બન્ને વિસ્તારમાં સર્ચ શરૂ કરી બંને જગ્યાએ પાંજરાં મૂકી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન સોમવારે રાત્રે પાલતુ સ્વાનનું મારણ કણકોટ વિસ્તારમાં કર્યું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ વન વિભાગના મદદનીશ વન અધિકારી એસ.ટી. કોટડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના વાગુદડ નજીક દીપડો દેખાયાની માહિતી બાદ શનિવારે મુંજકા અને રવિવારે કણકોટ વિસ્તારમાં દીપડો દેખાયાની માહિતી મળી હતી. જેના આધારે રાજકોટ શહેર નજીક મુંજકા, યુનિવર્સિટી વિસ્તાર અને કણકોટ વિસ્તારમાં દીપડાના સર્ચ કરતા સગડ મળી આવ્યા હતા. શનિવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક મુંજકા ગામમાં દીપડો દેખાયો હોવાની અને રવિવારના રોજ કાલાવડ રોડ પર કણકોટ ગામ નજીક દીપડો દેખાયાની માહિતી ગામ લોકો દ્વારા વનવિભાગને આપવામાં આવી હતી.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, વાગુદડ બાદ કણકોટ અને મુંજકા એમ બે જગ્યાએ દીપડો દેખાયાની માહિતી વનવિભાગને આપવામાં આવતા વનવિભાગ દ્વારા અલગ અલગ ટિમો બનાવી સર્ચ કરવામાં આવી રહ્યું છે. હાલમાં દીપડાને પકડવા માટે કુલ 3 જગ્યાએ પીંજરા મુકવામાં આવ્યા છે. હજુ વધુ 3 જગ્યાએ પિંજરા લગાવવામાં આવશે. સોમવારે રાત્રિના સમયે કણકોટ ગામ ખાતે દીપડાએ એક શ્વાનનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. લોકોને અફવામાં ધ્યાન ન આપવા અને પેનીક ન થવા અપીલ કરવામાં આવી રહી છે.
વાડી વિસ્તારમાં લોકોએ ખુલ્લામાં સૂવું ન જોઈએ, બાળકોને એકલા રમવા દેવા ન જોઈએ, તેમજ રાત્રિ દરમિયાન બંધ મકાનમાં સુવાનો આગ્રહ રાખવો અને પરપ્રાંતીય મજૂરો દ્વારા કોઈ માસ મચ્છી કે મટન જુ રાંઘણ કરવામાં આવે તો વધેલો ખોરાક ખુલ્લામાં ફેંકવાના બદલે દાટી દેવો જોઈએ, કારણ કે તેની દુર્ગંધથી દીપડો ત્યાં નજીક પહોંચી શકે છે.