મહાશિવરાત્રી મેળાના એક દિવસ પૂર્વે કલેકટર મેળાની મુલાકાતે : મેળાના આયોજન અંગે પોલીસ, વહીવટી તંત્ર, વનવિભાગ સજ્જ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનારની છત્રછાયામાં ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યે મહા શિવરાત્રીનો મેળો આદિ અનાદિ કાળથી યોજાય છે ત્યારે આવતીકાલે મહા વદ નોમના દિવસે ભવનાથ મંદીરે ધજા ચડાવ્યા બાદ જુના અખાડા, આહવાન અખાડા અને પંચ અગ્નિ અખાડા સાથે ભારતી આશ્રમ અને તેમજ શ્રીગૌરક્ષ આશ્રમ સહીત તમામ ધર્મ સ્થાનો ધ્વજા રોહણ કાલે સાવરે કરવામાં આવશે અને શિવરાત્રી મેળાનો પ્રારંભ કરવામાં આવશે જેમાં અખાડા પરિષદના વરિષ્ઠ સંતો અને પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે આગેવાનોની ઉપસ્થિતમાં મેળાનો પ્રારંભ થશે.
જૂનાગઢ મહાશિવરાત્રીના મેળા સંદર્ભે ભવનાથ તળેટી સહિત મેળાના વિસ્તારના સ્થળની આજે મુલાકાત કરી જરુરી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ નિરીક્ષણ કર્યુ હતુ જેમાં જિલ્લા કલેકટરે ભરડાવાવ, દામોદર કુંડ ઉપરાંત વિવિધ પાર્કિંગ સ્થળો અને ભાવિકોની વધારે ભીડ રહે છે તેવા પોઇન્ટની મુલાકાત કરી, યોગ્ય રીતે ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે તેવા ભવનાથના પ્રકૃતિ ધામની પણ જિલ્લા કલેક્ટરે મુલાકાત કરી હતી,
ફાયર, પીવાના પાણી, વાહન પાર્કિંગ જરુરી અન્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેક્ટર સાથે સબંધિત અધિકરીઓએ ભવનાથ મહાદેવના દર્શન કરવાની સાથે મૃગીકુંડ ખાતેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ હતુ તેમજ સ્થળ મુલાકાત પૂર્વે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી, મહાશિવરાત્રીના મેળા સંદર્ભે પૂર્વ તૈયારીઓનો તાગ મેળવ્યો હતો.
- Advertisement -
આ બેઠકમાં આરોગ્ય, વીજળી, સફાઈ, પીવાના પાણી સહિતના મુદ્દે જરુરી પરામર્શ કર્યો હતો.આ સ્થળ મુલાકાત અને બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા, ડેપ્યુટી કમિશનર ઝાપડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શિવરાત્રી મેળામાં ખ્યાતનામ કલાકારો લોકડાયરા- સંતવાણીની રંગત જામશે
મહાશિવરાત્રીના મેળામાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો લોક ડાયરા-સંતવાણીની રંગત જમાવશે. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેળામાં પધારતા ભાવિકો માટે તા.5 થી 7 માર્ચ દરમિયાન જાણીતા કલાકારો ભગવાન મહાદેવની આરાધના સાથે લોક સાહિત્યની પ્રસ્તુતિ સાથે જમાવટ કરશે.આ કાર્યક્રમ ભવનાથના પ્રકૃતિ ધામ ખાતે આયોજિત થનાર આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં તા.5 માર્ચના રોજ સાંઈરામ દવે, ગીતાબેન રબારી અને શિવરાજ વાળા, તા. 6ના કિર્તીદાન ગઢવી, અનુદાન ગઢવી, જીતુ દાદ અને જગદીશ માહેર અને તા.7ના રોજ ભૂમિ ત્રિવેદી, અનિરુદ્ધ આહિર, દિપક જોશી અને દિવ્યેશ જેઠવા પોતાના આગવા અંદાજમાં પ્રસ્તુતિ આપશે.આ મહાશિવરાત્રીના મેળાના ત્રણેય દિવસ આ સાંસ્કૃતિક કાર્યક્રમો સાંજે 7 કલાકે પ્રારંભ થશે.