દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન 9 ઓકટોબરે થયું હતું. રતન ટાટાનો પાર્થિવ દેહ સંપૂર્ણપણે રાજકીય સન્માન સાથે ગુરૂવાર સાંજે પંચમહાભૂતમાં વિલિન થયો છે. તેમની ઈચ્છા અનુસાર, તેમના પાર્થિવ દેહને ઈલેક્ટ્રિક અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. તેમજ મુંબઈ પોલીસે 21 તોપોની સલામી સાથે ગાર્ડ ઓફ ઓનરનું સન્માન પણ આપ્યું હતું.
રતન ટાટાના સન્માનમાં લેવાયો મોટો નિર્ણય
દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના સન્માનમાં મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં મહારાષ્ટ્ર સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી હવે રતન ટાટાના નામ પરથી ઓળખવામાં આવશે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જાહેરાતને વ્યાપક મંજૂરી મળી હતી, કારણ કે રતન ટાટા માત્ર એક આદરણીય ઉદ્યોગપતિ જ નહોતા પણ સમાજની સુધારણા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર પરોપકારી પણ હતા. શિક્ષણ, આરોગ્યસંભાળ અને ગ્રામીણ વિકાસમાં તેમનું યોગદાન રાષ્ટ્ર પર અમીટ છાપ છોડી ગયું છે.