- આઉટરીચ મિશન દરમિયાન શશિ થરૂરે તેમના પુત્રને પ્રશ્ન પૂછ્યો
- પહેલગામ હુમલામાં પાકિસ્તાનની ભૂમિકાના પુરાવા કોઈ વિદેશી સરકારે માંગ્યા ન હોવાનો દાવો
- અમેરિકાના નિવેદન પર કહ્યું કે ‘મધ્યસ્થી એ શબ્દ નથી જે અમે સ્વીકારવા તૈયાર છીએ’
ન્યૂયોર્કમાં કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં એક મહત્ત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી. સ્ટેજ પર કોંગ્રેસના સાંસદ શશી થરૂર હતા, જેઓ ઓપરેશન સિંદૂર પછી વિશ્વ સમક્ષ ભારતની રાજદ્વારી સ્થિતિ રજૂ કરવા માટે એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા હતા.
આ પ્રેસ કોન્ફરન્સમાં એક સમય એવો આવ્યો જ્યારે શશી થરુરને તેના પુત્ર ઇશાન થરૂરે જ પ્રશ્ન પૂછ્યો. શશિ થરૂરના પુત્ર ઇશાન થરૂર પત્રકાર છે અને તેઓ ઓપરેશન સિંદૂર અંગે શશી થરુરને પ્રશ્ન પૂછતાં હોય તેવો વીડિયો હવે વાઈરલ થઈ રહ્યો છે.
- Advertisement -
પુત્રએ શશી થરૂરને પૂછ્યો આ પ્રશ્ન
વોશિંગ્ટન પોસ્ટના ગ્લોબલ અફેર્સના કોલમલેખક ઇશાન થરૂર પ્રશ્ન પૂછવા ઉભા થયા ત્યારે થરૂર હસ્યા અને કહ્યું, ‘આને મંજૂરી ન આપવી જોઈએ. આ મારો પુત્ર છે.’ આ પછી ઇશાન થરૂરે પૂછ્યું કે, ‘શું કોઈ સરકારે શરૂઆતના હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવા માંગ્યા હતા, તો પાકિસ્તાનના ઇનકાર વિશે તમે શું કહેશો?’
પુત્રના પ્રશ્ન પર શશી થરૂરે આપ્યો આ જવાબ
- Advertisement -
ભીડના હાસ્ય વચ્ચે થરૂરે કહ્યું, આ માણસે તેના પિતા સાથે આવું કર્યું અને કહ્યું કે, અમારી પાસે કોઈએ પુરાવા નથી માંગ્યા પરંતુ મીડિયાએ જરૂર માંગ્યા છે. ભારત એવો દેશ નથી કે જે નક્કર પુરાવા વિના લશ્કરી કાર્યવાહી કરે. પાકિસ્તાને ભારત પર 37 આતંકવાદી હુમલા કર્યા છે અને દરેક વખતે તેણે સંડોવણીનો ઇનકાર કર્યો છે.’
થરૂરે ઓસામા બિન લાદેન અને 26/11 હુમલાનું ઉદાહરણ આપતા કહ્યું કે, ‘પાકિસ્તાન આતંકવાદીઓને મોકલે છે અને પછી હાર માની લે છે.’ આ ઉપરાંત શશી થરૂરે અમેરિકા દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની વાતને સંપૂર્ણપણે નકારી કાઢી અને કહ્યું કે, ‘અમે મધ્યસ્થી શબ્દને જ સ્વીકારતા નથી. આ એક સમાનતા દર્શાવે છે, જે વાસ્તવિકતામાં નથી. એક તરફ પાકિસ્તાન છે, જે આતંકવાદને આશ્રય આપતો દેશ છે અને બીજી તરફ લોકશાહી ભારત છે. બંને વચ્ચે કોઈ સરખામણી નથી.’