25,000થી વધારે વિદ્યાર્થીઓએ સેમિનાર, સ્પર્ધાઓ, ટોક શો, પેનલ શોમાં ભાગ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા તા. 01 થી 05 ફેબ્રુઆરી દરમ્યાન રેસકોર્ષના મેદાનમાં ચાલી રહેલા એજ્યુકેશન એક્સ્પોમાં પ્રથમ ત્રણ દિવસમાં બે લાખથી વધારે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, અને જનતાએ મુલાકાત લઈ ભવ્ય આયોજન નિહાળી આભિભૂત થયા હતા. મુલાકાતીઓના ધસારાને ધ્યાનમાં રાખીને એસ્પોનો સમય સવારના 09:30 થી 07:30 ને બદલે 09:30 થી રાતે 09:00 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. રાત્રે 9:00 કલાક બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો એકસ્પોનું એક અનેરુ આકર્ષણ બની રહ્યા છે.સમાજના તમામ વર્ગના લોકો આ એજ્યુ એક્સ્પોની મુલાકાત લઇ અભિભૂત થયા છે અને આયોજન, વ્યવસ્થા અને માહિતીની બે મોઢે પ્રશંસા કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને આપવામાં આવતા કારકિર્દી માર્ગદર્શન અને વ્યક્તિગત કારકિર્દી માર્ગદર્શનનો હજારો વિદ્યાર્થીઓને વાલીઓ લાભ લઇ રહ્યા છે.
- Advertisement -
વિદેશી યુનિવર્સિટી દ્વારા નવીનતમ કોર્સની માહિતી વિદ્યાર્થીઓને મળી રહી છે. તેમજ વિવિધ સ્પર્ધામાં પણ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આવતીકાલે તા. 05 ફેબ્રુઆરીના રોજ બપોરે 12:00 થી 01:00 દરમ્યાન આઇઆઇટીઅન અને પદ્મશ્રી ડો. અનિલ ગુપ્તાના ખાસ વક્તવ્યનું આયોજન કરવામાં આવેલું છે. ડો. અનિલ ગુપ્તા ગ્રાસરૂટ ઇનોવેશનના ક્ષેત્રમાં ભારતીય વિદ્વાન અને હની બી નેટવર્કના સ્થાપક છે. તેઓને મેનેજમેન્ટ એજ્યુકેશનમાં યોગદાન બદલ 2004ની સાલમાં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ડો. ગુપ્તાએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદમાં ચાર દાયકા વિઝીટીંગ ફેકલ્ટી તરીકે સેવા આપી છે અને વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમો વિકસાવ્યા છે. તેમના સૌથી લોકપ્રિય અભ્યાસક્રમોમાંના એક એવા શોધ યાત્રા (એટલે કે ’રિસર્ચ વોક’) નો સમાવેશ થાય છે, જે અંતર્ગત તેઓ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને સ્થાનિક સમુદાયો પાસેથી શીખવા અને તેમની જ્ઞાન પ્રણાલીનો અભ્યાસ કરવા દેશના વિવિધ ભાગોમાં લઈ ગયા હતા અને તેમની કલા અને આવડત શીખવા પ્રયાસો કર્યા હતા.