આજી નદીમાં ભળતા 15 MLD ગંદા પાણીનું થઈ શકશે શુદ્ધિકરણ: 2 લાખ જેટલા રહેવાસીઓની ડ્રેનેજને લગતી સમસ્યાઓનું નિવારણ થશે
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના-3ની પાઈપલાઈન તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ મલ્ટી લેવલ ફ્લાયઓવરબ્રિજ સહિતના વિવિધ વિકાસકામોના લોકાર્પણ કરાશે. આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલે જણાવ્યું હતું કે, આગામી ગુરુવારે વડાપ્રધાનના હસ્તે મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલ રૂ.129.53 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ મલ્ટીલેવલ ફ્લાયઓવરબ્રિજ, કોઠારીયા વિસ્તારમાં રૂ.24.72 કરોડના ખર્ચે 15 એમએલડી ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૈયાધાર ખાતે રૂ.29.73 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ન્યારી ડેમથી રૂ.41.71 કરોડના ખર્ચે નાખવામાં આવેલ પાણીની પાઈપલાઈનનું ઉપરાંત રૂ.8.39 કરોડના ખર્ચે વોર્ડ નં.6માં બનાવવામાં આવેલ લાયબ્રેરીનું લોકાર્પણ થશે.
- Advertisement -
સરકારની અમૃત-1 યોજના અંતર્ગત રૂ.20.74 કરોડના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ ઝોનના, વોર્ડ નં.18 કોઠારીયા ખાતે, એનિમલ હોસ્ટેલની બાજુમાં 13887 ચો.મી. જગ્યામાં 15 મીલીયન લીટર પ્રતિ દિન ટ્રીટમેન્ટ ક્ષમતા સાથે, સિક્વેંસિયલ બેચ રીએક્ટર ટેકનોલોજી ધરાવતો સંપૂર્ણ સ્કાડા સંચાલિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. આ પ્લાન્ટથી વોર્ડ નં.18 અને વોર્ડ નં.12ના કોઠારીયા તથા વાવડી વિસ્તારના અંદાજીત 2 લાખ જેટલા રહેવાસીઓની ડ્રેનેજને લગતી સમસ્યાઓનું નિવારણ થશે. આ યોજનાથી આજી નદીમાં ભળતા 15 મિલિયન લીટર પ્રતિ દિન ગંદા પાણીનું શુદ્ધિકરણ થશે.
આ ઉપરાંત શહેરમાં નાગરિકોની પાણીની સમસ્યામાં નિરાકરણ હેતુ ભારત સરકારની અમૃત-1 યોજના અંતર્ગત રાજ્ય સરકારના સહયોગથી પશ્ચિમ ઝોન વિસ્તારમાં રૈયાધાર ખાતે 50 એમએલડી ક્ષમતા તથા આધુનિક ઝીરો લીક્વીડ ડીસ્ચાર્જ ટેકનોલોજી ધરાવતો ડબલ્યુટીપી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ તથા આનુસાંગિક હેડવર્કસ રૂ. 29.73 કરોડના ખર્ચે તથા ન્યારી-1 ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી 1219 મીમી ડાયાની સ્ટીલ પાઈપલાઈન રૂ.41.71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. તેમજ રૈયા સર્કલથી સોજીત્રાનગર હેડવર્કસ સુધી નવી 508 મીમી ડાયાની સ્ટીલ પાઈપલાઈન રૂ. 1.96 કરોડના ખર્ચે નાખવામાં આવેલ છે. જેનાથી આશરે 2.50 લાખ લોકોને લાભ મળશે.
રૈયાધાર ખાતે રૂ.29.73 કરોડના ખર્ચે નિર્મિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ન્યારી ડેમથી રૂ.41.71 કરોડના ખર્ચે નાખવામાં આવેલી પાણીની પાઈપલાઈનનું પણ
ઉદ્દઘાટન થશે.