ઓર્ગેનાઈઝડ ઈકોનોમિક ઑફેન્સ ખૂન કરતાં પણ ગંભીર અને દેશની કરોડરજ્જુને અસર કરતો ગુનો છે: સુરેશ ફળદુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
- Advertisement -
સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર અદિતિ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી.ના પ્રમુખ જગદીશસિંહ જાડેજા સહિતના 14 તથા તપાસમાં ખુલવા પામે તે તમામ વિરુદ્ધ આર.ડી.સી. બેંકમાંથી લીધેલી લોનની રકમ રૂા. 29,59,50,000 તા. 31-12-2023ની સ્થિતિએ ચડત વ્યાજ સાથે બેંકમાં જમા ન કરાવી તેમાંથી રકમ રૂા. 12,77,84,732 પોતાના તથા સગા, પરિવારના અંગત આર્થિક લાભમાં ઉપયોગ કરી ખોટા હિસાબો બનાવી બનાવટી દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી આર્થિક લાભ મેળવી ગુન્હો આચરનાર આરોપી પૂર્વમંત્રી ઉપેન્દ્રસિંહ સજુભા જાડેજા તથા સભાસદ- વ્યવસ્થાપક કમિટીના સભ્ય અરૂણસિંહ સજુભા જાડેજા તથા કોમ્પ્યુટર ઓપરેટર બ્રીજરાજસિંહ અરૂણસિંહ જાડેજાની આગોતરા જામીન અરજીઓ રાજકોટના એડી. સેશન્સ જજે નામંજૂર કરતો હુકમ ફરમાવેલો છે.
કેસની હકીકત જોઈએ તો આરોપીઓએ ગુન્હાહિત કાવત્રુ રચી અદિતિ કો.ઓપ. સોસાયટી લી.માં જોડાયેલ સભાસદોની લોનો મંડળીમાં ભરપાઈ થયેલી ન હોવા છતાં અને મંડળીમાં રોકડ વ્યવહાર પ્રતિબંધિત હોવા છતાં મંડળીમાં સભાસદોએ રોકડમાં લોનો ભરપાઈ કરી દીધેલ સંબંધેની 68 સભાસદોની પહોંચો તથા મંડળીના એન.ઓ.સી. મંડળીએ બેંકમાં રજૂ કરી આવા સભાસદોની લોન વખતે જામીનગીરીમાં રજૂ થયેલા અસલ દસ્તાવેજોની ફાઈલો બેંકમાંથી છોડાવી ગયા બાદ પણ મંડળીએ આવા સભાસદોની તા. 28-2-2022ની સ્થિતિએ મંડળી પાસે લોનની બાકી રકમ રૂા. 8,22,39,436 તથા તેનું બાકી વ્યાજ બેંકમાં જમા ન કરાવી કરોડોના અનેક રોકડ વ્યવહારો કરેલ હતાં ઉપરાંત ત્રણ સભાસદોની મંડળીની લોન પેટે જમા કરેલી વસુલાતની પહોંચો મુજબની રકમ મંડળીના રોજમેળમાં રૂા. 16,89,988 ઓછી જમા લઈ પહોંચોમાં છેડછાડ કરી તથા રક્ષિત પગારદાર સભ્યોને ધીરાણ આપવા સભ્યો દ્વારા આપવામાં આવતા સહકારી કાયદાની કલમ 50 અન્વયે ખોટા કબુલાતનામા ઉભા કરી સંસ્થાઓના ખોટા સીક્કાઓ મારી અધિકારીઓની ખોટી સહીઓ કરી બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી પાંચ સભ્યોના નામે ધીરાણ ઉપાડી બેંક સાથે રૂા. 72,07,727ની છેતરપિંડી કરી ઉપરાંત મંડળીમાં રહેલી એન.પી.એ. જોગવાઈ ફંડ ખાતે રૂા. 56,02,241 તથા મંડળીમાં શકમંદ લેણા અનામત ફંડ ખાતે રહેલી રકમ રૂા. 12,05,434 બંને મળી રકમ રૂા. 68,07,675નું મંડળીનું ફંડ મંડળીના જવાબદારોએ તેના અંગત તથા સંબંધીઓના લોન ખાતામાં રકમ જમા કરી લઈ ભંડોળની રકમોનું મંડળીના પેટા, નિયમ, બેંક લોનની શરતો અને નિયમોનો ભંગ કરી અને ઉચાપત કરી
ઉપરાંત મંડળીના સભાસદોના પગારના કબુલાતનામા આપી રક્ષીત ધીરાણ મેળવનારને રકમ આપવા મંડળીએ સી.સી. ટાઈપની બેંકમાંથી લીધેલી રકમ તા. 28-2-2022ની સ્થિતિએ રકમ રૂા. 2,98,39,906 તથા તેના ઉપરનું બાકી વ્યાજ બેંકમાં જમા ન કરાવી ઉચાપત કરી મંડળીનું બેંકમાં આવેલી રક્ષીત લોન ખાતામાં બેંકના રૂા. 16,15,44,951 તથા મોર્ગેજ લોનના ખાતામાં રૂા. 13,44,05,119 એમ બંને લોનની રકમ મળી કુલ રકમ રૂા. 29,59,50,070 તા. 31-12-2023ની સ્થિતિએ ચડત વ્યાજ સાથે બેંકમાં જમા ન કરાવી તે રકમમાંથી રૂા. 12,77,84,732 બેંક લોન ખાતામાં જમા ન કરાવી આરોપીઓએ પોતાના તથા સગા પરિવારના અંગત આર્થિક લાભ માટે તેઓના લોન ખાતામાં જમા કરાવી ગુન્હાહીત ઉચાપત કરી વિશ્ર્વાસઘાત તથા છેતરપિંડી કરી અને બનાવટી દસ્તાવેજો બનાવી તે બનાવટી હોવાનું જાણવા હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી બેંકમાં રજૂ કરી ખોટા હિસાબો બનાવી આર્થિક લાભ મેળવી બેંકના તપાસ કરનાર અને ફરિયાદી તથા બેંકના અન્ય અધિકારીઓને વધુ કૌભાંડ બહાર ન લાવવા દેવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો આચરનાર વિરુદ્ધ આર.ડી.સી. બેંકના મેનેજર (વીજીલન્સ) દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 14 આરોપીઓ તથા તપાસમાં ખુલવા પામે તે તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવેલો હતો.
- Advertisement -
આ બાદ તમામ પક્ષેની રજૂઆતો, ત.ક. અધિકારીનું સોગંદનામુ તથા મુળ ફરિયાદ પક્ષેના વાંધાઓ તથા રેકર્ડ પરના દસ્તાવેજો લક્ષે લેતાં અરજદારોનું એફ.આઈ.આર.માં નામ છે અને મંડળીમાં મહત્ત્વના હોદ્દા છે, અરજદારોએ લોન ભરપાઈ થઈ ગયેલા અંગેના ખોટા એન.ઓ.સી. આપેલા છે, સાહેદોના નિવેદનોથી અરજદારોની પ્રથમ દર્શનીય સંડોવણીને સમર્થન મળે છે, પોલીસ તપાસ નાજુક તબક્કામાં છે અરજદારોએ ફરિયાદી તથા બેંકના અન્ય અધિકારીઓને વધુ કૌભાંડ બહાર ન લાવવા દેવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલીનો આક્ષેપ છે પોલીસ તપાસ નાજુક તબક્કામાં છે જામીન મુક્ત કરવામાં આવે તો સાહેદોના નિવેદનો નોંધવાના બાકી છે તેમને યેનકેન પ્રકારે લોભ, લાલચ, ધાકધમકી આપી ફોડે તેવી અને કેસને નુકસાન પહોંચાડે તેવી વ્યક્ત કરવામાં આવેલી દહેશતને નકારી શકાય તેમ નથી, જામીન મુક્ત કરવાથી ફરી આવા ગુનાઓ કરે તેવી દહેશત પણ નકારી શકાય તેમ નથી ત્યારે અરજદારોનો ગુન્હાહીત રોલ, ગુનાની ગંભીરતા, પુરાવા સાથે ચેડાં કરે તેવી શક્યતાને ધ્યાને લેતાં ત્રણેય અરજદારોને આગોતરા જામીન પર મુક્ત કરવા ન્યાયોચિત અને વ્યાજબી જણાતુ ન હોવાનું માની ત્રણેય અરજદારોની બંને આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
ઉપરોક્ત કામમાં મુળ ફરિયાદી આર.ડી.સી. બેંક વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ, જસ્મીન દુધાગરા, અભય સભાયા તથા સરકાર તરફે અતુલભાઈ જોષી રોકાયેલ હતા.