પહેલગામ હુમલો: પહેલગામ હત્યાકાંડમાં સંડોવાયેલા બે આતંકવાદીઓના ઘર પર વિસ્ફોટ
ભારતમાં આતંકીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલગામ હુમલામાં સામેલ આતંકીના ઘરને સુરક્ષા દળોએ બોમ્બથી ઉડાવી દીધું, તો બીજાનું ઘર બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું.
- Advertisement -
પહેલગામ હુમલામાં સામેલ સ્થાનિક આતંકવાદી આદિલ હુસૈન થોકરના અનંતનાગ જિલ્લાના બિજબેહરાના ગોરી વિસ્તારમાં આવેલા ઘરને સુરક્ષા દળોએ બોમ્બથી ઉડાવી દીધું. આદિલ થોકર ઉર્ફે આદિલ ગુરી તરીકે ઓળખાતા આતંકવાદી પર 22 એપ્રિલના રોજ પહેલગામની બૈસરન વેલીમાં થયેલા હુમલાની યોજના બનાવવા અને તેને અંજામ આપવામાં પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ છે. જયારે આ હુમલામાં સામેલ અન્ય સ્થાનિક આતંકવાદી આસિફ શેખના ત્રાલ સ્થિત ઘરને જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું.
માહિતી અનુસાર, આદિલ 2018 માં અટારી-વાઘા સરહદ દ્વારા કાયદેસર રીતે પાકિસ્તાન ગયો હતો. પાકિસ્તાનમાં રોકાણ દરમિયાન, તેણે એક આતંકવાદી કેમ્પમાં ટ્રેનિંગ લીધી હતી અને ગયા વર્ષે જમ્મુ અને કાશ્મીર પાછો ફર્યો હતો. પહેલગામ હુમલાના કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે કેટલાક આતંકવાદીઓ પશ્તુન ભાષામાં એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના હતા. જોકે, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ પણ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. TRF એ લશ્કર-એ-તૈયબાનું એક ફ્રન્ટ ટેરર ગ્રુપ છે, જેનો ઉપયોગ હુમલાને એક સ્વદેશી જૂથના કાર્ય તરીકે દર્શાવવા માટે કરવામાં આવ્યો.
ઘણા સમય પહેલા ઘૂસણખોરી કરી ચૂક્યા હતા આતંકવાદીઓ
- Advertisement -
એવું પણ માનવામાં આવે છે કે આતંકવાદીઓ ઘણા સમય પહેલા જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરી ચૂક્યા હતા અને તેમની યોજના 19 એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કટરા મુલાકાત દરમિયાન હુમલો કરવાની હતી, જેને તેમણે પાછળથી કોઈ કારણોસર રદ કરી દીધી હતી.
આતંકવાદીઓએ હિન્દુઓને નિશાન બનાવ્યા
એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ બૈસરન વેલીના ઘાસના મેદાનમાં આવ્યા હતા, જેને મેગી પોઈન્ટ અથવા મીની સ્વિટ્ઝર્લૅન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બોડી કેમેરા અને AK-47 રાઈફલ્સથી સજ્જ હતા. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના નામ પૂછ્યા અને હિન્દુઓને નિશાન બનાવ્યા. હુમલાના સ્થળેથી મળેલા કારતુસમાં બખ્તરબંધ ભેદી ગોળીઓ પણ મળી, જેને સ્ટીલ બુલેટ પણ કહેવામાં આવે છે. આતંકવાદીઓએ લગભગ 15 મિનિટ સુધી ગોળીબાર કર્યો અને નિર્દોષ લોકોની હત્યા કરી. સૈન્ય સૂત્રો અનુસાર, આતંકવાદી જૂથો સામાન્ય રીતે છ સભ્યો સાથે આવા હુમલાઓ કરે છે, અને શક્ય છે કે પહેલગામ હુમલામાં એક કે બે વધુ આતંકવાદીઓ સામેલ હોય, જેઓ દેખરેખ માટે તૈનાત હોય. સુરક્ષા દળોએ આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે અભિયાન શરૂ કર્યું છે. ખાસ દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે.