કલેક્ટરે જમીન ખાલસા કરી 32.90 લાખનો દંડ ફટકાર્યો
લગડી જેવી જમીન માટે આચરાયેલું ષડયંત્ર સામે આવતાં કલેક્ટરે જમીન ખાલસા કરી 32.90 લાખનો દંડ ફટકાર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
ખેતીની જમીન સાવ ઓછા ભાવે પડાવી લેવા આચરવામાં આવતાં કૌભાંડોની સંખ્યામાં વધુ એકનો ઉમેરો થયો છે અને ટંકારા તાલુકાના જીવાપર ગામે લગડી જેવી જમીન પડાવી લેવા હરબટિયાળીના એક પરિવારના 6 સભ્યએ ઓટાળા અને કચ્છના સૂઇ ગામના ખેડૂતના નામનો ઉપયોગ કર્યો હતો અને જમીન પોતાના નામે કરાવી લેવા કારસો રચ્યો હતો. જો કે આ આખું ષડયંત્ર કલેક્ટરના ધ્યાને આવી જતાં જમીન ખાલસા કરી હતી અને તમામ બોગસ ખાતેદાર સામે સૌરાષ્ટ્ર ઘરખેડ અધિનિયમના ભંગ સબબ 32.90 લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
કેસની વિગત જોઇએ તો ટંકારાના હરબટીયાળી ગામના રાઘવજીભાઈ મોહનભાઈ, સવિતાબેન રાઘવજી, રજનીકાંત રાઘવજી, ભાવેશ રાઘવજી, કિરીટ રાઘવજી અને શિલ્પાબેન રાઘવજીએ જીવાપર ગામના સર્વે નંબર 167 પૈકી 1ની જમીન ખરીદ કર્યા બાદ તેની રેવન્યુ રેકર્ડમાં નિયમ મુજબ નોંધ પડી ગઈ હતી. નોંધ પડયા પછી આ પરિવારના સભ્યોએ ખેડૂત ખાતેદાર હોવા અંગેનુ પ્રમાણપત્ર મેળવવા માટે મહેસુલ વિભાગના આઈઓઆરએ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરતા પ્રાંત અધિકારીને જમીન ખરીદનાર ઉતરોતર ખેડુત ખાતેદાર હોવા અંગે શંકા જતા મામલતદાર ટંકારા મારફતે ઉપરોક્ત નોંધ સહિતની બાબતો ચકાસી અને ખરાઈ કરવા અને તપાસ કરી અહેવાલ મોકલવા સુચના આપતા ટંકારા મામલતદારે તપાસ હાથ ધરી હતી અને રાઘવજી મોહન ઓટાળા ગામે જમીન ધરાવતા હોવાના પુરાવા સાથે જીવાપરમાં જમીન ખરીદી હોવાનો રીપોર્ટ તલાટીએ આપતા ઓટાળાનુ રેકર્ડ તપાસતા ભાંડો ફુટયો હતો.
હકિકતે ઓટાળા ગામે ખેતીની જમીન ધરાવતા મોહનભાઈ હીરાભાઈ રાવરીયા અને હરબટીયાળીના રાઘવજીના પિતા મોહનભાઈ અલગ હોવાનુ સામે આવ્યુ હતુ. અહીંયા અન્ય ગામના ભળતા નામનો ઉપયોગ કરી બોગસ ખેડૂત બનવાનો કારસો કરવામં આવ્યો હોવાનો અહેવાલ નાયબ કલેકટર મોરબી સમક્ષ રજૂ થતા જ નાયબ કલેકટરે કલેકટર કિરણભાઈ ઝવેરીને આખી ઘટનાથી વાકેફ કર્યા હતા અને તપાસના અંતે કલેક્ટરે મામલતદારને સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદાની કલમ 54ના ભંગ બદલ સબબ પગલા લઈ વેચાણ વ્યવહાર ગેરકાયદેસર ગણી સર્વે નંબર 167 પૈકી 1ની જમીન હે. 1-40-63 (14063 ચો.મી.) સરકાર હસ્તક લઈ લેવા હુકમ કર્યો હતો. અને ત્રણ ગણી જંત્રી મુજબ રૂપિયા 32,90,742/ નો બોગસ ખેડૂત ખાતેદારોને દંડ ફટકાર્યો હતો.
- Advertisement -
કલેકટર સમક્ષ ચાલેલા કેસ દરમિયાન અરજદારોએ પોતાના બચાવમા તેઓના દાદા હીરાભાઈ રવાભાઈ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સુઈ ગામના ખાતેદાર હતા. અને તેના આધારે ટંકારા તાલુકામા જમીન ખરીદી હોવાની રજુઆતો કરી હતી. પરંતુ, કલકેટરની તપાસમા કચ્છના સુઈના ખેડૂત હીરાભાઈ રવાએ હૈયાતીમા જ 1993 મા તેમના પુત્રો ભીખાભાઈ અને કેશાભાઈને વહેંચણી કરી દીધી હોવાનુ ખુલ્યુ હતું.
ટંકારામાં નદી કાંઠે કિંમતી જમીનની ખરીદી થતાં ખાનગી રાહે તપાસ શરૂ
જિલ્લામા અન્ય સ્થળે બની બેઠેલા બોગસ ખેડૂતોએ છેલ્લા થોડા સમયમાં જમીન ખરીદી હોય તો તાત્કાલિક તપાસ હાથ ધરી અહેવાલ મોકલવા મામલતદારને કલેક્ટરે હુકમ કરતા તંત્ર દ્વારા ટંકારાના ડેમી નદી કાંઠે સર્વે નંબર 155 પૈકી 2- અને 155 પૈકી 3 ની 15 વિઘા જમીન જેની કિંમત હાલ બજારકિંમત મુજબ કરોડોની ગણાય છે, એવી કિંમતી જમીન બે સાથણીદારો પાસેથી વેચાણેથી લીધી હોવાનુ પકડી પાડયુ હતુ. અને આ જમીન પણ ખાલસા કરી સરકાર હસ્તક લેવા સ્થાનિક તંત્ર દ્વારા ધગધગતો રિપોર્ટ કલેકટરને મોકલાઈ ગયાનુ આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.