ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં મુખ્યત્વે ખરીફ (ચોમાસુ) અને રવિ (શિયાળુ) પાક લેવામાં આવે છે. જ્યાં પાણીની સુવિધા હોય તેવા વિસ્તારોમાં ખેડૂતો ટુંકા ગાળાનો ઉનાળુ પાક પણ લ્યે છે. ઉનાળુ વાવણી ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી થાય છે. આ ખેત ઉપજ મે જૂનમ)ં બજારમાં આવી જાય છે. રાજ્યમાં આ વર્ષે 11,25,704 હેકટરમાં ઉનાળુ વાવેતર થયું છે. તે ટકાવારીની દૃષ્ટિએ 125.30 ટકા જેટલું થાય છે. ગયા વર્ષ કરતા આ વર્ષે 84603 હેકટરમાં વધુ વાવેતર થયું છે.
ઉનાળુ વાવેતરનો સમયગાળો પૂરો થઇ ગયો છે. સરકારી આંકડા સામે આવી ગયા છે. તા. 2 મેની સ્થિતિએ કચ્છમાં 28800, ઉત્તર ગુજરાતમાં 418600, મધ્ય ગુજરાતમાં 236500, સૌરાષ્ટ્રમાં 357000 અને દક્ષિણ ગુજરાતમાં 84800 મળી કુલ 11,25,700 હેકટરમાં વાવેતર થયું છે. ઝોન વાઇઝ આંકડાઓ જોતા ઉત્તર ગુજરાત પ્રથમ ક્રમે અને સૌરાષ્ટ્ર બીજા ક્રમે છે.
- Advertisement -
ઉનાળામાં મુખ્યત્વે મગફળી, મગ, તલ અને બાજરી તથા ઘાસચારાનું અને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે જે તે વિસ્તારની જમીન સહિતની બાબતોને ધ્યાને રાખીને ખેડૂતો વાવેતરનો પ્રકાર પસંદ કરે છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 69,600 હેકટરમાં વાવેતર ભાવનગર જિલ્લામાં થયું છે. સૌથી ઓછું માત્ર 7600 હેકટરમાં વાવેતર બોટાદ જિલ્લામાં થયું છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે મગ, મગફળી અને તલનું વાવેતર છે. આખા રાજ્યમાં સૌથી વધુ બાજરી બનાસકાંઠા જિલ્લામાં 1,61,500 હેકટરમાં વાવવામાં આવી છે. મોટાભાગના ખેડૂતો હવે સારા ચોમાસાની આશા સાથે ખરીફ પાકની વાવણીની પૂર્વ તૈયારીમાં લાગ્યા છે.