દૈનિક 200 બસની અવરજવર રહેશે: મુખ્ય બસપોર્ટ પરનું ભારણ ઘટશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટએ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને રાજકોટ પણ દિવસે દિવસે ચારેય દિશામાં આગળ પથરાઈ રહ્યું છે ત્યારે એક બાદ એક માળખાકીય સુવિધામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. રાજકોટના ઢેબર રોડ પર બસપોર્ટ બન્યા બાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ બસસ્ટેન્ડ બનાવવા સરકારે જાહેરાત કર્યા બાદ રાજકોટના ભાવનગર રોડ પર સેટેલાઇટ બસ સ્ટેશન તૈયાર થઇ ગયું છે જેને આગામી ટૂંક સમયમાં રાજકીય નેતાના સમય મળ્યે લોકાર્પણ કરી કાર્યરત કરવામાં આવશે. આ બસ સ્ટેન્ડ 1326 ચોરસ મીટર જગ્યામાં 13 પ્લેટફોર્મ સાથે 4.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલ મુખ્ય બસપોર્ટ પરનું ભારણ ઘટાડવા માટે ભાવનગર રોડ પર અમૂલ સર્કલ પાસે 1326 ચોરસ મીટર જગ્યામાં સેટેલાઈટ બસ સ્ટેશન તૈયાર થઇ ગયું છે. જ્યાં દરરોજ 200 બસની અવરજવર રહેશે. જ્યાંથી જસદણ, આટકોટ, અમરેલી, ભાવનગર જતી બસ મળશે અને ત્યાંથી આવતી બસ અન્ય કોઈ જગ્યાએ જતી હશે તો તેની ફ્રિકવન્સી પણ મળશે. બસ સ્ટેશન તૈયાર થઇ ગયું છે. જોકે વડી કચેરીથી તારીખ લેવાની બાકી છે. ઉલ્લેખનીય છે કે નવા બનેલા આ સેટેલાઈટ બસ સ્ટેશનમાં વિદ્યાર્થી અને મુસાફર પાસ, ઓનલાઈન ટિકિટ બૂકિંગ, એનાઉન્સમેન્ટ, ફાયર અલાર્મની સાથે નાના બાળકોને માતાએ ફીડીંગ કરાવવું હોય તો તે માટે અલગ રૂમ પણ બનાવવામાં આવેલ છે.
ભાવનગર રોડ પર 4.50 કરોડના ખર્ચે સેટેલાઈટ બસ સ્ટેશન તૈયાર
