રાષ્ટ્રીય વાંચન દિવસ સરોજિની નાયડુ ગર્લ્સ સ્કૂલમાં 500થી વધુ વિદ્યાર્થી અને પુસ્તકપ્રેમીઓએ સમૂહ વાંચન કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ પ્રેરિત સાહિત્યિક પ્રવૃતિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા 19 જૂન રાષ્ટ્રીય વાંચન દિવસ નિમિતે શહેરમાં વાંચન પ્રવૃતિને વેગ મળે, શહેરીજનો વાંચતા થાય ખાસ કરીને દેશના આવતીકાલના નાગરિકો એવા છાત્રોમાં વાંચનની ટેવ પડે, વાંચતા થાય તેવા શુભાશયથી 19 જૂન રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ નિમિતે શહેરના અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં આવેલા રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં સમૂહ વાંચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલની છાત્રાઓ, સ્ટાફ પરિવાર, સાહિત્ય પ્રેમીઓ, પુસ્તકપ્રેમીઓ અને સંસ્થાના કાર્યકર્તાઓ મળીને અંદાજિત 500થી વધુ લોકોએ એક કલાક સુધી પોતાના મનગમતા પુસ્તકનું વાંચન કરીને રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી કરી હતી. સમૂહ વાંચન કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળા નંબર 69 ધોરણ 7 અને 8 ના 100થી વધુ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.
- Advertisement -
એક કલાકના સમૂહ વાંચન બાદ સાહિત્ય સેતુના સંયોજક અનુપમ દોશીએ તમામ 500 પુસ્તકપ્રેમીઓને પોતે દરરોજ વ્યક્તિગત જીવનમાંથી સમય કાઢી પોતાની અનુકૂળતા મુજબ વાંચન કરશે તેવો સામૂહિક સંકલ્પ લેવડાવ્યા હતા. સમૂહ વાંચન કાર્યક્રમમાં કવિ નટવર આહલપરા, વિશ્વકર્મા રાઇટર ગ્રુપના ભરતભાઈ સુરેલિયા, પંકજ રૂપારેલિયા,રમેશ શિશાંગીયા,દિનેશભાઈ ગોવાની,કે.જે.માવાણી વગેરે વિશેષ ઉપસ્થિત રહી વાંચન જાગૃતિ અભિયાનને બિરદાવ્યું હતું. સરોજિની નાયડુ ગર્લ્સ સ્કૂલના પ્રિન્સીપાલ ડો.સોનલબેન ફળદુએ દરેકને આવકારી સ્વાગત કર્યુ, સાહિત્ય સેતુના અનુપમ દોશીએ રાષ્ટ્રીય વાંચન દિવસનું મહત્વ, જીવનમાં વાંચનની ઉપયોગિતા વિશે વાત કરી હતી. કાર્યક્રમના અંતમાં આભારવિધિ વિજયભાઈ ઘાટલિયાએ કરી હતી. તેમજ સમગ્ર આયોજનની સફળતા માટે શાળા પરિવાર અને સાહિત્ય સેતુના સભ્યો કાર્યરત રહ્યા હતા.