ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ- ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ અને રાષ્ટ્રીય સેવા યોજના કણસાગરા મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે રાજકોટ નગરના ગુજરાતી ભાષાના સાહિત્યપ્રેમીઓ માટે દિપોત્સવી પર્વને વધાવવા તા. 22 ને મંગળવારના રોજ સવારના 9-30 વાગ્યે શહેરના કાલાવડ રોડ પર આવેલી કણસાગરા મહિલા કોલેજમાં શહેરની નામાંકિત કવયિત્રીઓનું કવયિત્રી સંમેલન યોજવામાં આવેલું છે.
કવયિત્રી સંમેલનમાં ગુજરાતી સાહિત્ય જગતમાં આદરભર્યુ સ્થાન ધરાવતી તેમજ અનેક કવિ સંમેલનો-મુશાયરામાં ભાગ લઈ ચૂક્યા છે અને પોતાના કાવ્યસંગ્રહ પણ બહાર પાડેલા છે તેવી સુપ્રસિદ્ધ કવયિત્રીઓ પારૂલ ખખ્ખર, જ્યોતિ રાજગુરુ, હર્ષિદા ત્રિવેદી, જશુબેન બકરાણીયા, હેમલ દવે, વનિતા રાઠોડ, વિદ્યા ગજ્જર ભાગ લઈ પોતાની લોકપ્રિય રચનાઓનું પઠન કરશે. જાણીતા ઉદ્ઘોષક, વક્તા, લેખિકા અને રંગભૂમિ સાથે વર્ષોથી જોડાયેલ જ્યોતિ રાજગુરુ કવયિત્રી સંમેલનનું સંચાલન કરશે.
- Advertisement -
કવયિત્રી સંમેલનમાં શહેરની નારીજગતના ગૌરવસમાન મહિલા અગ્રણીઓ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, બ્રહ્માકુમારી ગીતાદીદી, આકાશવાણી રાજકોટના નિવૃત્ત કેન્દ્ર નિયામક ડો. ગીતાબેન ગીડા, જાણીતા તબીબ અને કોર્પોરેટર ડો. દર્શનાબેન પંડ્યા, કડવીબાઈ વિદ્યાલયના નિયામક હીરાબેન માંજરીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો. રેખાબા જાડેજા વગેરે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.