છ-છ દિવસના રિમાન્ડમાં પણ સાગઠિયા કશું ન બોલ્યો!: મોં પરનું તાળું ખોલ્યું નહીં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
- Advertisement -
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોનાં મોત નીપજ્યાંની ઘટના બાદ રાજકોટ મનપાના ભ્રષ્ટ અધિકારીઓનો પણ પર્દાફાશ થયો હતો. એમાં મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકત સહિત કુલ ત્રણ ગુના નોંધાયા હતા. એસીબીની તપાસમાં અપ્રમાણસર મિલકત મળી આવતાં ત્રીજો ગુનો નોંધાયો હતો અને ત્રીજા ગુનામાં 6 દિવસના રિમાન્ડ પુરા થતાં સાગઠિયાને ગઇકાલે (8 જુલાઈ) જેલહવાલે કરવામાં આવ્યો છે, પરંતુ આ 6 દિવસના રિમાન્ડ દરમિયાન કોની સાથે મળીને? અને કોના ઇશારાથી ભ્રષ્ટાચાર કર્યો એ અંગે સાગઠિયાનું ભેદી મૌન તોડવામાં એસીબી નિષ્ફળ સાબિત થઇ છે. હાલ એસીબીએ કરેલી તપાસ સામે પણ કેટલાક સવાલો ઊઠી રહ્યા છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ મનસુખ સાગઠિયાની સંપત્તિની તપાસ એસીબી દ્વારા કરવામાં આવતાં 2012થી 2024 દરમિયાન તેની પાસે આવક કરતાં 410% વધુ એટલે કે 13.23 કરોડની સંપતિ મળી આવી હતી. તારીખ 19 જૂનના રોજ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમિયાન એસીબીએ ગત 1 જુલાઈને સોમવારે સાંજે જેલમાંથી સાગઠિયાનો કબજો લઇ તેના ભાઈની ઓફ્સિનું સીલ ખોલી તપાસ કરતાં એમાંથી સોના-ચાંદી, ડાયમંડ જ્વેલરી, વિદેશી ચલણી નોટ, સોનાના બેલ્ટવાળી ઘડિયાળ અને રોકડ સહિતની મતા મળી કુલ 18 કરોડની વધુ મિલકત મળી આવી હતી. એને કબજે લઈ સરકારી તિજોરીમાં જમા કરાવ્યું હતું અને સાગઠિયાને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
એસીબીના વડા દ્વારા તપાસનું અસરકારક સુપરવિઝન કરવા અને મિલકત ટાંચમાં લેવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન એસીબીની ટીમ કે એસીબીની જઈંઝ કોઈ ખાસ મોટા ખુલાસા કરાવી શકી નથી. કોની સાથે મળીને અને કોના ઇશારાથી ભ્રષ્ટાચાર કર્યો એ અંગે સાગઠિયાનું પહેલેથી રહેલું ભેદી મૌન તોડવામાં પણ એસીબી નિષ્ફળ રહી છે.
- Advertisement -
ગઇકાલે રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કરતાં તેને ફરી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ સાથે જ તેણે કોના કહેવાથી અને કોના સપોર્ટથી ભ્રષ્ટાચાર આચર્યો એ સહિતની તપાસને પણ પૂર્ણ વિરામ લાગી ગયો છે.