ખાસ-ખબર ન્યૂઝ મોસ્કો, તા.12
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ઘણો સમય વીતી ગયો છે જોકે તેમ છતા આ યુદ્ધ ચાલી રહ્યું છે. હવે ત્રણ વર્ષ બાદ આ યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં રશિયાએ પહેલ કરી છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે 15મી મેના રોજ સીધી વાટાઘાટોનો પ્રસ્તાવ મુક્યો છે. જેના જવાબમાં હવે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ ખુશી વ્યક્ત કરી હતી, અને તેને સારા સંકેતો ગણાવ્યા હતા પરંતુ સાથે કહ્યું છે કે શાંતિ માટે વાટાઘાટો શરૂ થાય તે પહેલા યુદ્ધ વિરામ થવો જોઇએ.
રશિયાના પ્રમુખ પુતિનના પ્રસ્તાવ પર જવાબ આપતા યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયાએ અંતે યુદ્ધ સમાપ્ત કરવા પર વિચાર કર્યો તે સકારાત્મક સંકેતો છે, વિશ્ર્વ લાંબા સમયથી યુદ્ધ વિરામની રાહ જોઇ રહ્યું હતું, અને કોઇ પણ યુદ્ધને સમાપ્ત કરવાનુ પહેલુ પગલું શસ્ત્રવિરામ (સીઝફાયર) છે. અમે આશા રાખીએ છીએ કે રશિયા 12મી મેથી પૂર્ણ, સ્થાયી અને વિશ્ર્વાસ કરી શકાય તેવા યુદ્ધ વિરામની ખાતરી આપશે, યુક્રેન પણ યુદ્ધવિરામ માટે તૈયાર છે.
- Advertisement -
જોકે રશિયાના પ્રમુખ પુતિને સ્પષ્ટતા કરી દીધી હતી કે યુક્રેન હાલ વાટાઘાટોનો પ્રસ્તાવ સ્વીકાર કરે રશિયા યુદ્ધ વિરામ નહીં કરે. પુતિને હવે યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીને 15મી મેના રોજ ઇસ્તંબુલમાં શાંતિ માટે વાતચીતનો પ્રસ્તાવ મુક્યો છે. બીજી તરફ તુર્કીના પ્રમુખ રેચપ તૈયબ અર્દોગને પ્રેસ કોન્ફરંસમાં કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપિત થાય તે માટે બન્ને દેશોની વાટાઘાટો માટે મેજબાની કરવા માટે તુર્કી તૈયાર છે.
હાલ રશિયાએ સ્પષ્ટતા કરી દીધી છે કે યુક્રેન સાથે આ વાટાઘાટો કોઇ પણ પ્રકારની શરત વગર કરવામાં આવશે. એટલે કે યુક્રેનના યુદ્ધવિરામની માગણીને હાલ રશિયન પ્રમુખે ફગાવી દીધી છે. જોકે તેમ છતા બન્ને દેશો શાંતિ સ્થાપિત કરવા માટે વાતચીતથી રસ્તો કાઢવા તૈયાર થઇ ગયા છે. આ શાંતિ સંકેતો વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે રશિયા અને યુક્રેન માટે આ સપ્તાહ સૌથી મહત્વનું છે. મને આશા છે કે આ યુદ્ધનો અંત આવશે અને હજારો લોકોનો જીવ બચી જશે. મારો પુરો પ્રયાસ રહેશે કે હું બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં સફળ રહું.