ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વભરમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો ભારતમાં થાય છે અને તેને રોકવા સરકારના શ્રેણીબદ્ધ પગલા વચચ્ચે ગુજરાત સરકારે અભ્યાસક્રમમાં જ માર્ગ સલામતીના પાઠ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. નવા શૈક્ષણિક સત્રથી ધો.6થી12ના અભ્યાસક્રમમાં માર્ગ સલામતીના પાઠ ભણાવાશે. રાજય સરકારના સૂત્રોએ કહ્યું કે સામાજીક વિજ્ઞાનના વિષયમાં પૂરક પાઠ તરીકે માર્ગ સલામતીનું ચેપ્ટર સામેલ કરવામાં આવશે.
આ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તુર્તમાં રાજયભરના જીલ્લા શિક્ષણાધિકારીઓની બેઠક યોજીને પ્રોજેકટને આખરી સ્વરૂપ આપશે. માર્ગ સુરક્ષાના અભ્યાસમાં સલામતી સંબંધી બાબતો ઉપરાંત ટ્રાફિક નિશાનીઓ, ટ્રાફિક નિયમો વગેરેનો સમાવેશ કરાશે. ઝીબ્રા ક્રોસીંગનો ઉપયોગ તથા માર્ગ પર યોગ્ય વર્તણુક જેવા મુદાઓ સમાવાશે. સ્કુલે આવવા-જવામાં રાખવાની તકેદારી તથા સ્કુલ બસ જેવા મુદા પણ સામેલ હશે. રાજય સરકાર દ્વારા મુસદો તૈયાર કરવામાં આવ્યો છે. શાળા સંચાલકો દ્વારા બાળકોના માતા-પિતાને પણ માર્ગ સુરક્ષા સંબંધી જ્ઞાન આપવાનો પ્રયાસ કરાયો છે. સૂત્રોના કહેવા પ્રમાણે બાળવયે જ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું જ્ઞાન અપાય તો મોટા થયા બાદ તેનું અસરકારક પાલન કરે તેવો ઉદેશ છે. ઉચ્ચ શિક્ષણમાં ટ્રાફિક નિયમો, રોડ એન્જીનીયરીંગ, અકસ્માતના સંજોગોમાં ઈમરજન્સી સારવાર જેવી બાબતો અભ્યાસમાં સામેલ કરાશે. ટ્રાફિક નિયમોનો ભંગ કરવા પરની પેનલ્ટીથી વાકેફ કરાશે. આરટીઓ તથા ટ્રાફિક પોલીસ કચેરીની રૂબરૂ મુલાકાત પણ કરાવાશે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મદદ કરવાની તાલીમ અપાશે.