હજારો ભાવિ ક્રિકેટરોના ભવિષ્ય સાથે નગરપાલિકાના ચેડાં
પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખની અણઆવડતના કારણે દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભ્રષ્ટાચાર થયાના સનસનીખેજ આક્ષેપ
- Advertisement -
ધી દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને સોંપી હજારો ક્રિકેટરોના ભાવિ જોખમમાં મૂકી દીધા
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.24
દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં નગરપાલીકાના આર્શીવાદ થી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાની ફરીયાદ સાથે પોરબંદર જીલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા જીલ્લા કલેકટર અને પોરબંદર નગરપાલીકાના પ્રમુખને લેખીતમાં ફરીયાદ કરી છે. રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે પોરબંદર શહેરના રમત-ગમતના જાહેર મેદાન ગેરકાયદે ખાનગી સંસ્થા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને સોંપીને ભ્રષ્ટાચાર કરવાનો પીળો પરવાનો આપી દિધો હોવાની રજૂઆત સાથે અનેકવિધ મુદ્દે વિરોધ કરાયો છે. તત્કાલીન પાલીકા પ્રમુખે જનરલ બોર્ડ મીટીંગમાં નગરપાલિકા એક્ટ હેઠળના કાયદા વિરૂદ્ધ જઈને ભ્રષ્ટાચાર આદરીને 30 વર્ષના લીઝ પર આપવાનો કરાર કર્યો હતો. જે બિલ્કુલ અયોગ્ય છે. પોરબંદર જીલ્લાના ખેલાડીઓ માટે હોમપીચ ગણાતુ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડને પાલીકાના હાથ હેઠળ ખાનગી સંસ્થા દ્વારા ભ્રષ્ટાચારનો લુણો લગાવીને અપવિત્ર કરવાનું અક્ષમ્ય અપરાધ થતો હોવાની રાવ કરવામાં આવી છે.
- Advertisement -
રાજય સરકારના મહેસુલ અને નાણા વિભાગને પણ ગેરમાર્ગે દોરીને તત્કાલીન પાલીકા પ્રમુખે જે હુકમ કર્યો છે. તે બાબતે તપાસ કરીને યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે.પોરબંદર જીલ્લા ક્રિકેટ એસોસીએશનના એક્ઝીક્યુટીવ વાઇસ પ્રેસીડેન્ટ અને સભ્યોની સહી વાળા લખાયેલા ફરીયાદ પત્રમાં જણાવાયું છે કે, પોરબંદર પાલીકાએ તા.17/1/2009ના રોજ જનરલ બોર્ડમાં ઠરાવ કરીને ઐતિહાસીક ક્રિકેટ ગ્રાઉન્ડ જે ખરાબ સ્થિતિમાં હતું તેના વિકાસ અર્થે 7 વર્ષ માટે પોરબંદર જીલ્લા ક્રિકેટ એસોસીએશનને સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ જીલ્લા ક્રિકેટ એસોસીએશન પોરબંદર દ્વારા સૌરાષ્ટ્ર સિમેન્ટ લીમીટેડ, રાણાવાવ દ્વારા સી.એસ.આર. પ્રોજેકટ અંતર્ગત લોક ભાગીદારી અન્વયે રૂપિયા 2.5 કરોડનો ખર્ચ કરીને દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડને રાષ્ટ્રીય કક્ષાની મેચ રમાડી શકાય તે યોગ્ય બનાવ્યું હતું.
છ વર્ષ પૂર્ણ થયા પછી ક્રિકેટ મેદાનને ભ્રષ્ટાચારનો અજગર ભરડો લે તે પહેલા યોગ્ય કરવા પોરબંદર જીલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા કલેકટર અને નગરપાલીકા સમક્ષ ફરીયાદ અરજી પોરબંદર જીલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા વધુ વિકાસ અર્થે બીજા છ વર્ષની માંગણી મુકવામાં આવી હતી. પરંતુ તત્કાલીન પ્રમુખ દ્વારા ગેરકાયદે એગ્રીમેન્ટ કરીને દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને સોંપી આપવામાં આવ્યું હતું. જે બાબતે પણ કલેકટર કચેરી અને નગરપાલીકા કચેરી યોગ્ય તપાસ કરે તેવી માંગ થઇ છે. હાલમાં દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ 30 વર્ષની લીઝ પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને સોંપવામાં આવ્યું છે. પરંતુ બે વર્ષથી વધારે સમય પસાર થઈ ગયો હોવા છતાં હજુ સુધી વિકાસ થયો નથી તેમજ માત્ર વાતોના વડા મુકીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ સીટી સર્વે ઓફિસમાં સરકારશ્રી નોંધણી હોવાથી શરત ભંગના નિયમ હેઠળ આ જાહેર ક્રિકેટ મેદાન કલેકટર કચેરીના સંચાલન હેઠળ લેવા વિનંતી કરવામાં આવી છે.
જ્યારે પોરબંદર નગરપાલીકા દ્વારા થયેલા પહેલા ઠરાવમાં ચોખ્ખુ દર્શાવ્યુ છે કે, આ ક્રિકેટ ગ્રાઉન્ડ પોરબંદર જીલ્લાના યુવા ખેલાડીઓ માટે જ ઉપયોગમાં લેવાનું અને જીલ્લાના ખેલાડીઓને પ્રેકટીસ કે ખેલાડીઓને પ્રેક્ટીસ કે મેચ રમવા માટે મનાઈ નહીં કરવાની છતાં પણ હાલમાં પોરબંદર જિલ્લના યુવા ક્રિકેટ ખેલાડીઓને ધી દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેકટીસ કે રમવા દેવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે.
પોરબંદરના ખેલાડીઓને રમવાની મનાઈ ન કરવી તેવું સૂચન તે સમયના પ્રમુખ અને તમામ નગરપાલિકા સભ્યોએ કર્યું હતું.
દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડના પશ્ચિમ-ઉત્તર ખૂણામાં સિમેન્ટની પ્રેક્ટિસ પીચ અને પોરબંદર જિલ્લા ક્રિકેટર એસોસિએશન દ્વારા નેટ પ્રેક્ટિસની સુવિધા કરવામાં આવી છે. જે કોઈપણ કારણ વગર વર્તમાન સંચાલકો દ્વારા તોડી પાડવાની ભીતી છે. તે બાબતે જીલ્લા કલેકટર અંગત રસ દાખવીને તાત્કાલિક અસરથી આ કામગીરીને નામંજુર કરે તેવી માંગણી કરવામાં આવી છે. આ બાબતે ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી અને પી.ડી.સી.એ ના કાર્યવાહક ઉપપ્રમુખ રાજેશભાઈ જાડેજા દ્વારા લખાયેલા પત્રમાં જિલ્લા કલેકટર અને પોરબંદર નગરપાલિકા સમક્ષ માંગણી કરવામાં આવી છે કે,પોરબંદરના યુવા ખેલાડીઓને પ્રેક્ટીસ કરવા માટે જે સુવિધા દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઉભી કરવામાં આવી છે તે જે તે સ્થતિમાં રાખવા માટે આપની કચેરી સ્ટે ઓર્ડર આપે તેવી વિનંતી કરવામાં આવી છે.
દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ એ જાહેર મેદાન છે. પોરબંદરના ખેલાડીઓ રમી શકે તે માટે તેમાં રાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ બાબતે ક્લેક્ટર અને વર્તમાન પાલીકા પ્રમુખ તાત્કાલીક અસરથી યોગ્ય નિર્ણય લે તેવી માંગણી સાથે ફરીયાદ અને દાદ અરજી કરવામાં આવી છે. ત્યારે તંત્ર અને પાલિકાના સત્તાધીશો લોકહિત નિર્ણય લેશે કે કેમ તે આગામી દિવસોમાં જોવું રહ્યું.