રાજનગર આવાસ યોજનાના રહેવાસીઓને જર્જરિત આવાસ હોવા છતાં મનપાએ દસ્તાવેજ શા માટે કરી આપ્યા? યુવા ભીમ સેનાની મનપા કમિશનરને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના રાજનગર આવાસ યોજના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે. જેના રહેવાસીઓને હજુ 2015માં રજી. દસ્તાવેજ બનાવી આપવામાં આવેલા છે. હાલમાં આ આવાસ યોજનાના રહેવાસીઓને આપની ઓફિસ તરફથી આવાસ જર્જરિત અંગેની નોટીસો આપી તાત્કાલિક અસરથી નળ કનેકશન કાપી નાખી અમાનવીય રીતે માનવ અધિકારોનો ભંગ કરવામાં આવેલો છે અને રહેવાસીઓને હેરાન થવાનો વારો આવ્યો છે ત્યારે આ અંગે ઘટતું કરવા યુવા ભીમ સેના દ્વારા મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.
રાજકોટમાં થયેલા ટીઆરપી ગેમઝોનના માનવસર્જિત અને બેદરકારીભર્યા જવાબદાર લોકોને કારણે ઘટેલી દુર્ઘટનાના પડઘા ક્યારેય ભુલાય તેવા નથી પરંતુ અહીં પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજનગર આવાસ યોજનાના રહેવાસીઓને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જર્જરિત આવાસ હોવા છતાં દસ્તાવેજ કરી આપવામાં આવેલા છે જેથી સંપૂર્ણ જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની જ રહે છે. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ જાણતા હોવા છતાં આ જર્જરિત હાલતવાળા આવાસોના શા માટે દસ્તાવેજ બનાવી આપવામાં આવ્યા? સૌ પ્રથમ આ આવાસોને રીપેરિંગ કરી આટલા વર્ષો બાદ આ આવાસ રહેવા લાયક છે કે કેમ? તેનો સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે રિપોર્ટ મેળવ્યા બાદ જ દસ્તાવેજ કરી આપવા જોઈએ, આથી રાજકોટ મહાનગરપાલિકાની પણ ખૂબ મોટી જવાબદારી છે.
હાલમાં ચોમાસાનો સમય હોય, વરસાદી માહોલમાં આ આવાસ યોજનામાં રહેનારા લોકો આવાસ રીપેરિંગ કરાવી શકે તેવી પરિસ્થિતિ ન હોય, ચોમાસાનો સમય પૂર્ણ થયા બાદ રીપેરિંગની કામગીર શરૂ થઈ શકે તેમ હોય તાત્કાલિક અસરથી આવાસ યોજનાના રહેવાસીઓના નળ જોડાણો ફરી જોડી આપશો અન્યથા આ અમાનવીય વ્યવહારને કારણે થતી માનવજીવનની, પરિવારના સભ્યોની, બેન્કના લોનના હપ્તાની, છોકરાઓના અભ્યાસક્રમની તમામ જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની રહેશે તેવું અંતમાં મનપા કમિશનરને જણાવ્યું હતું.