કોલસો કાઢવા માટે જમીનના પેટાળમાં થતાં બ્લાસ્ટિંગથી ગ્રામજનો ત્રાહિમામ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાનું બેરોકટોક ખનન તંત્ર માટે ફળદાયી અને સ્થાનિકો માટે મુશ્કેલી સમાન છે પરંતુ અહીં તંત્રના અધિકારીઓને સરકારી પગાર સાથેની બમણી આવક મળવાના લીધે આ કોલસાનો કાળો કારોબાર ચલાવવા માટે રીતસરનો મંજૂરી આપી હોય તેવો ઘાટ સર્જાયો છે. આ સાથે બેફામ બનેલા ખનિજ માફીયાઓ હવે કોઈના પણ કહ્યામાં રહ્યા નથી. જમીનના પેટાળમાંથી કાઢવામાં આવતો અમૂલ્ય ખનિજ દરરોજ હજારો ટન કાઢી બરોબર વેચી મારવામાં આવે છે પરંતુ જ્યારે જમીનમાંથી કોલસો કાઢવામાં આવે છે ત્યારે તેમાં કરવામાં આવતા બ્લાસ્ટિંગના લીધે ગ્રામજનો હવે ભયના ઓથ હેઠળ જીવે છે. જેમાં મૂળી તાલુકાના વગડીયા ગામ નજીક ચાલતા આ પ્રકારના ગેરકાયદેસર ખાણોમાં કોલસો કાઢવાં માટે વિસ્ફોટક વાપરવામાં આવે છે અને આ વિસ્ફોટક વડે જમીનમાં બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. જેના લીધે આજુબાજુ રહેતા રહીશોના રહેણાક મકાનોમાં તિરાડો પડી ગઈ છે અને કેટલાક મકાનો તો જર્જરિત પણ થઈ ચૂક્યા છે જ્યારે આ વિસ્ફોટક પણ ગેરકાયદેસર રીતે લાવવામાં આવે છે અને જો કોઈ ગ્રામજન અથવા જાગૃત નાગરિક આ મામલે તંત્રના અધિકારીને જાણ કરે તો તેઓની સામે ખનિજ માફીયાઓ દાદાગીરી કરે છે. ખનિજ માફિયાઓના ત્રાસથી હવે ગ્રામજનો પણ ત્રાસી ઉઠ્યા છે પરંતુ પોતાની રોજી રોટી માટે અહીં ન છૂટકે પડેલા ગ્રામજનોના આંખમાં નીરસતા અધિકારીઓને જરાય દેખાતી નથી જેને લઇ હવે ગ્રામજનો જાય તો જાય ક્યાં ? તેવો ઘાટ સર્જાયો છે.