ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત કામગીરી આખરે શરૂ કરવામાં આવી છે. વરસાદી માહોલનો વિરામ આવતાની સાથે જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગે રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધર્યું છે.
વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડી ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર-8માં, રિવરફ્રન્ટ રોડ અને જલભવન પાસે પડેલા મોટા ખાડાઓની પ્રાથમિક મરામત કરવામાં આવી છે.
- Advertisement -
શહેરી વિસ્તારો ઉપરાંત, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાને કારણે ખરાબ થયેલા રસ્તાઓનું કોન્ક્રીટ પેચવર્ક કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગની ટીમો ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓને ફરીથી મોટરેબલ બનાવવા માટે સક્રિય બની છે.
આ કામગીરીમાં જેસીબી મશીન, ટ્રેક્ટર અને ડમ્પર જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુપરવાઈઝરની સીધી દેખરેખ હેઠળ સમારકામની ટીમો કાર્યરત છે, જેથી ગુણવત્તાયુક્ત કામગીરી સુનિશ્ચિત કરી શકાય. આશા છે કે ઝડપથી રસ્તાઓ સુધારાશે અને લોકોને હાલાકીમાંથી મુક્તિ મળશે.