માર્ગ-મકાન વિભાગના અધિકારીઓને સૂચના, ધારાસભ્યોના વાઈરલ પત્રો અંગે વ્યક્ત કરી નારાજગી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બુધવારે સવારે મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે વર્તમાન ચોમાસા દરમ્યાન ભારે વરસાદને કારણે રોડ-રસ્તા તૂટી જવાને લીધે સરકારની જે બદનામી થઈ રહી છે. ક્યાંક ક્યાંક ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યાં છે. તેને રોકવા માટે રાજ્યના માર્ગ-મકાન વિભાગ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ, જિલ્લા વહીવટી તંત્રએ સંકલનમાં રહીને આ તૂટી ગયેલા રોડ-રસ્તા તાત્કાલિક રિપેર કરવા માટે આદેશ કર્યો હતો.
- Advertisement -
એવી જ રીતે છેલ્લા કેટલાક સમયથી ભાજપના ધારાસભ્યો દ્વારા જે તે મુદ્દે મુખ્યમંત્રી, મંત્રીઓ, કલેકટરો, ડીજીપીને લખાતા પત્રો જે તે પદાધિકારીને પહોંચે તે પહેલાં મીડિયામાં લીક થઈ જાય છે, તેની સામે તેમણે નારાજગી વ્યક્ત કરીને આ રીતે લખાતા અને લીક થતાં પત્રોને અટકાવવાની ખાસ તાકીદ કરી હતી.
જાણવા મળેલી વિગતો મુજબ, વર્તમાન ચોમાસા દરમ્યાન અસામાન્ય રીતે જે તે એક જ વિસ્તારમાં 4થી 10 ઈંચ કરતાં વધુ વરસાદ ખાબકતાં તે વિસ્તારોના રોડ-રસ્તા તૂટી જવાના કે પુલ-બ્રિજમાં ગાબડાં પડવાના અનેક બનાવો નોંધાયા છે. જેના કારણે રોડ-રસ્તા કે પુલોના બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉભા કરાઈ રહ્યાં છે, ભ્રષ્ટાચારના પણ મોટાપાયે આક્ષેપો થઈ રહ્યાં છે એટલે મુખ્યમંત્રીએ મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્દો ઉપસ્થિત કરીને ગુજરાત સરકારના માર્ગ-મકાન વિભાગને તાત્કાલિક આ તૂટી ગયેલા કે ગાબડા પડેલા રસ્તાઓને રિપેર કરવાનો આદેશ કર્યો હતો. સાથોસાથ તેમણે એવી પણ દલીલ કરી હતી કે, આ જવાબદારી એક માત્ર ગુજરાત સરકારની જ નથી પરંતુ કેટલાક રસ્તાઓ મહાનગરો, નગરપાલિકા વિસ્તારોમાં પણ તૂટ્યાં છે તો આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે પછી જે તે પ્રજાના પ્રતિનિધિઓએ પણ તે જવાબદારી સ્વીકારીને રસ્તા તાકીદ રિપેર થાય તે દિશામાં સહયોગી થવું જોઈએ.
એવી જ રીતે, વર્તમાન રાજ્ય સરકારમાં એક ખાસ વાત એ જોવા મળી છે કે, ભાજપના જ ધારાસભ્યો જે તે મુદ્દાને લઈ મુખ્યમંત્રી, મંત્રીઓ, કલેક્ટરો કે ડીજીપીને પત્રો લખે છે. જેમાં જે તે મુદ્દે આક્ષેપાત્મક લખાણો પણ હોય છે. ભલે તે પત્રોની વિગતો સાચી હોય કે તપાસ માંગી લેતી હોય તો પણ તે પત્રો મુખ્યમંત્રી, મંત્રીઓ, કલેક્ટરો કે પોલીસ અધિકારીઓને મળે તે પહેલાં તો, તે મીડિયામાં લીક કરી દેવાય છે. જેના કારણે રાજ્ય સરકારની રીતસરની બદનામી થાય છે અને વિરોધપક્ષને પણ તે બાબતે સરકાર સામે આક્ષેપો કરવાની તક મળે છે એટલે મુખ્યમંત્રીએ મંત્રીમંડળની બેઠકમાં આવા પત્રો લીક ન થાય તેની ખાસ તાકીદ કરી હતી.