ખાનગી હોસ્પિટલમાં 1 લાખના ખર્ચે થતું ઓપરેશન વિનામૂલ્યે થયું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષના બાળકોને ગંભીર બીમારીમાં નિ:શુલ્ક સારવાર આપવામાં આવી છે. આ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે) ગીર સોમનાથના બાળકો માટે આશીર્વાદ સમાન બન્યો છે. આર.બી.એસ.કે અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના બીમાર બાળકોને ઘરે તેમજ શાળાએ જઇ તપાસ કરી જરૂરી સારવાર સાથે માર્ગદર્શન આપવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામના વાડી વિસ્તારમાં રહેતા જયદીપભાઇ પંપાણિયાની દિકરી રીવાનું જન્મજાત ફાટેલા હોઠની ખામીનું ખાનગી હોસ્પિટલમાં રૂ.1 લાખના ખર્ચે થતું ઓપરેશન વિના મૂલ્યે થયું હતું. રીવાને જન્મજાત જ ફાટેલા હોઠની સમસ્યા હતી. જેથી સમગ્ર પરિવાર ચિંતિત હતો. પરંતુ આ વાતની જાણ આર.બી.એસ.કેની ટીમને થતા તાત્કાલીક બાળકીની તપાસ કરી 6 મહિના પછી રાજકોટની હોસ્પિટલમાં એકપણ રૂપિયાના ખર્ચ વગર ઓપરેશન કરાવી રીવાને નવજીવન આપ્યું હતું.
- Advertisement -
પિતા જયદીપભાઇ પંપાણિયાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તા.4 ઓક્ટોબર 2024ના રોજ અમારા ઘરે દિકરી રીવાનો જન્મ થયો હતો. દિકરીનો જન્મ થવાના કારણે પરિવારમાં ખુશી છવાઇ હતી. પરંતુ દીકરીના જન્મજાત ફાટેલા હોઠ જોઇ પરિવાર ચિંતિત બન્યો હતો. પરંતુ પરિવારની આ ચિંતાને રાજ્ય સરકાર અને આર.બી.એસ.કેની ટીમે દૂર કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમારે રીવાના ઓપરેશન માટે આવવા-જવા કે હોસ્પિટલમાં કે ક્યાંય પણ એકપણ રૂપિયો આપ્યો પડ્યો નથી. આથી અમે આર.બી.એસ.કેની ટીમ અને રાજ્ય સરકારનો આભાર માનીએ કે, અમારા જેવા નાના માણસોનું ધ્યાન રાખી વિના મૂલ્યે મેડિકલ સહિતની સારવાર આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આશા બહેનો અને આર.બી.એસ.કેની ટીમના ડોક્ટર્સે ઘરે આવી રીવાના હોઠની તપાસ કરી અને પરિવારને ઓપરેશન અંગે ધરપત આપી હતી. તપાસ કરી જણાવાયું હતું કે, રીવા 6 મહિનાની થાય તેમના તમામ રીપોર્ટ નોર્મલ આવે પછી તેમનું ઓપરેશન થઇ શકે છે. જેથી રીવા 8 મહિનાની થઇ પછી એકપણ રૂપિયાના ખર્ચ વગર રાજકોટની હોસ્પિટલમાં રીવાના હોઠનું ઓપરેશનકરીઆપ્યુંછે.