કલેક્ટરનું અધિકારીઓ સાથે પગપાળા રૂટ નિરીક્ષણ : ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીના 3.5 કિમીના રસ્તે વ્યવસ્થાઓની ચકાસણી
જૂનાગઢ મહાશિવરાત્રિ મેળાને આખરી ઓપ આપવા તંત્રનો ધમધમાટ
- Advertisement -
ભવનાથ મેળામાં સેવા અને શ્રદ્ધાનો સંગમ: સંસ્થાઓના સહયોગથી પિરસવામાં આવશે છાસ-લીંબુપાણી
દામોદર કુંડથી મૃગીકુંડ સુધીના વિસ્તારોમાં સુરક્ષા અને સુશોભન પર ભાર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
- Advertisement -
જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં યોજાતો પારંપરિક મહાશિવરાત્રીનો મેળો વધુ ભવ્યતા અને દિવ્યતા પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે, ત્યારે આજે આ મેળાની વિશેષ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયાએ ગિરનાર દરવાજાથી ચાલીને ભવનાથ મંદિર સુધી અને રવેડીના રૂટનું ચાલીને જાત નિરીક્ષણ કર્યું હતું. કલેકટરની સાથે જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, એસ.પી સુબોધ ઓડેદરા, મેળા અધિકારી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને મેળાની વિવિધ કમિટીના અધ્યક્ષોએ ચાલીને રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને રસ્તામાં જ્યાં જ્યાં ભાવિકોની સગવડતા ની વિશેષ આવશ્યકતા હતી ત્યાં સંબંધિત અધિકારીને કામગીરી માટે સૂચના આપી હતી. આ રૂટ નિરીક્ષણ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સાથે રાખીને કરવામાં આવ્યું હતું, મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને કેન્દ્રમાં રાખીને તેમને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરે સ્થળ પરથી જ જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. જિલ્લા કલેકટરએ ખાસ મહાશિવરાત્રીના મેળામાં પધારતા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણી, આરોગ્ય, શૌચાલય પાર્કિંગ, પરિવહન સેવા સહિતના મુદ્દે રૂટ નિરીક્ષણ દરમિયાન સ્થળ પરથી જ જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત મહાશિવરાત્રીનો મેળાની જે ભવ્યતા વધવાની છે તેના સંદર્ભમાં સુશોભન લાઇટિંગ વગેરે માટે પણ જિલ્લા કલેકટરે જરૂરી નિર્દેશ આપ્યા હતા. ગિરનાર દરવાજા થી ભવનાથ મંદિર સુધી સમગ્ર મેળાનો વિસ્તાર રહેશે. 3.5 કીમી રોડ પર ગિરનાર દરવાજાથી જ ભવનાથ મંદિર સુધી ભાવિકોને લીંબુપાણી છાસ સહિતની સગવડતા મળી રહે તે માટે સંસ્થાઓ સાથે સંકલન કરાશે. રૂટ ઉપર પણ મેળાની ગરિમા મુજબ સુશોભન કરાશે. મહાશિવરાત્રી મેળાના પ્રથમ દિવસે સાંજે સાધુ સંતોની ભવનાથ પ્રવેશ દ્વારથી ભવનાથ મંદિર સુધીની યોજાનાર ડમરૂ યાત્રા, મહાઆરતી અને ધર્મસભા ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમને આખરી ઓપ આપવાના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં ગિરનાર દરવાજાથી રૂટ નિરીક્ષણ શરૂ થયું હતું. જે દરમિયાન દામોદર કુંડ, રામટેકરી સર્કલ, રવેડીનો જે વધારવામાં આવ્યો છે તે નવો રૂટ, મૃગીકુંડ સહિતની જગ્યાના નિરીક્ષણ દરમિયાન ભાવિકોને અગવડતા ન પડે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો અને સંલગ્ન અધિકારીઓને જરૂરી ફેરફારો કરવા માટે પણ નિર્દેશ આપ્યા હતા. મહાશિવરાત્રીના મેળાના રૂટ નિરીક્ષણ અને બેઠકમાં કમિશનર તેજસ પરમાર જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેકટર સુશ્રી વંદના વીણા, આસિસ્ટન્ટ કલેકટર પ્રતીક જૈન, સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયા, પ્રાંત અધિકારી અને મેળા અધિકારી ચરણ સિંહ ગોહિલ, કે.વી. બાટી સહિતના અધિકારીઓ જોડાયા હતા.
મેળામાં 108ની 13 એમ્બ્યુલન્સ, 28 મેડિકલ સેન્ટર 24 કલાક કાર્યરત રહશે
આગામી મહાશિવરાત્રી મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ આયોજનને આખરી ઓપ આપ્યો છે. મેળા દરમિયાન કોઈ પણ આકસ્મિક તબીબી જરૂરિયાતને પહોંચી વળવા માટે સમગ્ર મેળા વિસ્તારમાં 28 જેટલા કામચલાઉ દવાખાનાઓ 24 કલાક કાર્યરત રહેશે. આરોગ્ય વિભાગ દ્વારા 7 મેડિકલ અને 21 પેરા-મેડિકલ એમ કુલ 28 પોઈન્ટ્સ પર સારવાર ઉપલબ્ધ કરાવાશે તથા નાકોડા દવાખાના ખાતે અદ્યતન આઈ.સી.યુ. યુનિટની પણ વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. ગિરનાર સીડી ગેટ, અંબાજી મંદિર, ભવનાથ, રેલ્વે સ્ટેશન અને એસટી બસ સ્ટેન્ડ જેવા મહત્વના સ્થળોએ તબીબી સેવાઓ મળશે. મેળામાં અંદાજે 210 જેટલા આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ રાત-દિવસ ફરજ બજાવશે. ઇમરજન્સી સારવાર માટે 13 એમ્બ્યુલન્સ અને 6 ’108’ એમ્બ્યુલન્સ મેળાના વિવિધ રૂટ પર તૈનાત રાખવામાં આવી છે, જેથી ગંભીર પરિસ્થિતિમાં દર્દીઓને તુરંત હોસ્પિટલ ખસેડી શકાય.



