કપાસ – ધાન્યનું પણ સારૂ વાવેતર થયાનો કૃષિમંત્રીનો નિર્દેષ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.31
ગુજરાતમાં સમયસર અને સાર્વત્રિક વરસાદને કારણે ચાલુ ખરીફ સિઝનમાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક વાવેતર કર્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા મુજબ, જુલાઈ 30 સુધીમાં રાજ્યમાં આશરે 66 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે.
આ સામાન્ય રીતે થતા કુલ 85 લાખ હેક્ટર વાવેતર વિસ્તારના 77% થી વધુ છે. કપાસ અને મગફળી નું વાવેતર 20-20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં થયું છે, જેમાં મગફળીના વાવેતરમાં 15% નો વધારો નોંધાયો છે.
- Advertisement -
તેલીબીયા પાકોનું કુલ 24.25 લાખ હેક્ટર, ધાન્ય પાકોનું 9.79 લાખ હેક્ટર, કઠોળ પાકોનું 2.52 લાખ હેક્ટર અને ઘાસચારાનું 6.46 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે. મંત્રીએ સારા વરસાદથી ખેડૂતોને સારી ઉપજ મળવાની આશા વ્યક્ત કરી છે.
કૃષિ મંત્રીએ જુલાઈ 30, 2025 સુધીમાં થયેલા ખરીફ વાવેતરની વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પરિણામે ખરીફ પાકોનું સારું વાવેતર જોવા મળ્યું છે. અત્યાર સુધીમાં આશરે 66 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે.
છેલ્લા 3 વર્ષની સરેરાશ સામાન્ય રીતે રાજ્યમાં થયેલા કુલ 85 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સરખામણીએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 77% થી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે.
મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, મગફળી અને કપાસના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં સૌથી વધુ કપાસનું અને ત્યારબાદ મગફળીનું પુષ્કળ વાવેતર અને ઉત્પાદન થાય છે.
આ વર્ષે પણ કપાસ અને મગફળીનું રાજ્યમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં આશરે 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં મગફળીનું વાવેતર પ્રતિવર્ષ સતત વધી રહ્યું છે. રાજ્યમાં મગફળીનું સરેરાશ 17.50 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે. ગત વર્ષે ખેડૂતોએ ખરીફ ઋતુ દરમિયાન કુલ 18.82 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કર્યું હતું. આ વર્ષે પણ ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર થયું છે.
અત્યાર સુધીમાં જ મગફળીના સામાન્ય વાવેતરની સરખામણીએ 115% વાવેતર પૂર્ણ થયું છે, જે હજુ પણ વધવાની સંભાવનાઓ છે. મગફળી સહિત રાજ્યમાં તેલીબીયા પાકોનું કુલ 24.25 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીએ તેલીબીયા પાકોના વાવેતર વિસ્તારમાં 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારનો વધારો થયો છે.
આ ઉપરાંત રાજ્યમાં ધાન્ય પાકોનું અત્યાર સુધીમાં 9.79 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે. કઠોળ પાકોનું અત્યાર સુધીમાં 2.52 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે. ઘાસચારાનું અત્યાર સુધીમાં 6.46 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે.