મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાંતીવાડાથી રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો
પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના દાંતીવાડાથી આજે રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવ-2024નો પ્રારંભ કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં કરાવ્યો છે. આ રવી કૃષિ મહોત્સવ-2024 આજે એટલે કે તા. 6 અને 7 ડિસેમ્બર દરમિયાન 246 તાલુકા મથકોએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમયાનુરૂપ ટેક્નોલોજીના ઉપયોગથી ખેતી દ્વારા ધરતીપુત્રોને સમૃદ્ધ કરવાના ઉદાત્ત અભિગમ સાથે કૃષિ મહોત્સવની નવતર પરંપરાની શરૂઆત 2005થી કરાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાને આગળ ધપાવતાં રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ વર્ષે રવી કૃષિ મહોત્સવનું બહુ આયામી આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય કૃષિ મહોત્સવમાં વિવિધ ટેક્નિકલ માર્ગદર્શન સેમિનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેક્નોલોજીનું નિદર્શન-પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, સાથોસાથ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના રવી કૃષિ મહોત્સવમાં દાંતીવાડા ખાતે 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કર્યા છે. આ ઉપરાંત શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અને વિવિધ લાભ સહાયનું વિતરણ પણ કરાયું છે. રવી કૃષિ મહોત્સવ-2024માં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક અને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, પ્રિસિઝન ફાર્મિંગ, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા વિશે માર્ગદર્શન, મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન, સફળ પશુપાલન જેવા વિવિધ વિષયો પર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. આ બે દિવસીય રવી કૃષિ મહોત્સવના રાજ્યવ્યાપી આયોજનનો લાભ અંદાજે 2.50 લાખ ધરતીપુત્રો મહોત્સવમાં સહભાગી થઈને લેશે.