સેન્ટરમાં માત્ર મિલકત વેરા પાછળ પાંચ કર્મચારીઓ રોકાયા છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
- Advertisement -
રાજ્ય સરકારની સેવાઓ સામાન્ય લોકોને લાંબી કતારોમાંથીઆઝડી અને સુખાકારી જીવન માટેની છે પરંતુ સ્થાનિક તંત્ર લોકોને કઈ પ્રકારે હેરાન પરેશાન થાય તેવી નીતિથી રાજ્ય સરકારની તમામ સેવાઓને અધ્ધર ચડાવી નાખે છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરના ઘાટ દરવાજા પાસે ગત ડિસેમ્બર મહિના દરમિયાન સિટી સીવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સિટી સીવિક સેન્ટરનો મુખ્ય હેતુ નગરપાલિકાની મોટાભાગની કામગીરી હળવી થઈ જાય અને લોકોને લાંબી કતારોમાં ઉભુ રહેવું ન પડે તે માટે ખુલ્લું મૂકાયું હતું પરંતુ નગરપાલિકા સંચાલિત આ સિટી સિવિક સેન્ટરને ખુલ્લું મૂકાયું તેના પાંચેક મહિના થવા છતાંય અહીં માત્ર મિલકત વેરો લેવાની કામગીરી જ થાય છે અને એમાંય માત્ર મિલકત વેરા માટેની કામગીરીમાં પાચ જેટલા કર્મચારીઓ રોકાયેલા હોવાનું સામે આવ્યું છે.
ધ્રાંગધ્રાના આ સિટી સિવિલ સેન્ટરમાં કુલ સાત જેટલા કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે જેમાંથી બે મહિલા કર્મચારીઓને નગરપાલિકાની જન્મ મરણ શાખામાં હંગામી ધોરણે ટ્રાન્સફર આપી દીધી છે બાકીના પાંચ કર્મચારીઓમાંથી માત્ર એકાદ બે કર્મચારીઓ હાજરી આપે છે અને બાકીના કર્મચારીઓ ટ્રેનિંગમાં હોવાનો હાજીઓ પૂરે છે. જ્યારે લોકોને સુવિધા પૂરી પાડવા માટે ઉભુ કરાયેલ સિટી સિવિલ સેન્ટરમાં મિલકત વેરો, વ્યવસાયિક કર, વાહન કર, મકાન નકશાની તથા બિલ્ડિંગની મંજૂરી, ડુપ્લીકેટ મૃત્યુ અને જન્મના પ્રમાણપત્ર, ગુમાસ્તધરા નોંધણી, આરોગ્ય અંગેના લાયસન્સ, લારી ફેરિયા અંગેના લાયસન્સ, અહીંથી અધિકાર અરજીની સ્વીકૃત, હોલ બુકિંગ, કાર વિભાગ અરજીની સ્વીકૃતિ, સ્વિમિંગ પૂલ અને જીમ ફી સ્વીકૃતિ તથા ફાયર એનઓસી માટેની અરજી તથા નગરપાલિકાને લગતી તમામ સેવાઓ ઉપલબ્ધ હોવાનું મોટું તગડું બોર્ડ મૂકતું છે પરંતુ આ સરકારી 13થી વધુ સેવામાં અહીં માત્ર એક મિલકત વેરો વસૂલવાની સેવા જ શરૂ છે. જોકે ધ્રાંગધ્રા નગરપાલિકા કચેરી અને સિટી સિવિલ સેન્ટર એક બંને સ્થળો પર મિલકત વેરો વસૂલવા માટેની શાખા છે જેથી ધ્રાંગધ્રામાં માત્ર મિલકત વેરો વસૂલ કરવા માટે આશરે દશથી પણ વધુ હંગામી કર્મચારીઓને મફતનો પગાર આપી રહ્યું છે.
એક તરફ ધ્રાંગધ્રા નગરપાલિકા આવશ્યક સેવાઓ માટે ફરજિયાત મિલકત વેરાની વસૂલી કરી દબાણ કરી રહી છે તો બીજી તરફ એક જ કામગીરી માટે દૂધથી વધુ કર્મચારીઓને પગાર આપી સરકારની તિજોરીને નુકશાન પહોંચાડતી હોય તેવું સ્પષ્ટ નજરે પડે છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરની જનતા માટે ખોલવામાં આવેલા સિટી સિવિલ સેન્ટરની તમામ કામગીરીઓ પણ માત્ર કાગળો પર હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ નજરે પડી રહ્યું છે.