કમ્પાઉન્ડ વોલના નબળા કામથી સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાના ગંભીર આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરમાં રાજ્ય સરકારની આવાસ યોજનાઅંતર્ગત ચાલી રહેલા હાઉસિંગ બોર્ડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની ગંભીર રાવ ઉઠવા પામી છે. રાજ્ય સરકાર એક તરફ વિકાસ અને પારદર્શિતાની વાતો કરે છે ત્યારે બીજી તરફ આવા સરકારી કામોમાં ભ્રષ્ટાચારના અજગર દ્વારા સરકારી ગ્રાન્ટનો બેફામ દુરુપયોગ થતો હોવાનો ચિંતાજનક મામલો સામે આવ્યો છે. ધ્રાંગધ્રા શહેરની આવાસ યોજનાના મકાનોની પાછળ આવેલા સરકારી જમીન વિસ્તારમાં હાઉસિંગ વિભાગ દ્વારા પ્લોટિંગ કરી ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારોને ફાળવણી કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ યોજનાના ભાગરૂપે હાલ આશરે ત્રણથી ચાર કિલોમીટર વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામ કેશોદ સ્થિત વચ્છરાજ ક્ધસ્ટ્રક્શન નામની એજન્સીને સોંપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ શરૂ થયેલા આ કમ્પાઉન્ડ વોલના કામમાં ભારે અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. દિવાલના નિર્માણમાં ગુણવત્તા વિનાના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું તેમજ યોગ્ય પાયો ખોદાણ કર્યા વગર સીધી જમીન ઉપર દિવાલ ઊભી કરવામાં આવી રહી હોવાનું સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉપરાંત સિમેન્ટનો પણ નહિવત્ ઉપયોગ કરવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જે ભવિષ્યમાં દિવાલની મજબૂતાઈ પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.
આ મામલે જાગૃત નાગરિક દ્વારા સ્થળ પર જઈ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કામ દરમિયાન કોઈ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાકટર સ્થળ પર હાજર ન હતો. માત્ર પરપ્રાંતીય શ્રમિકો દ્વારા ગુણવત્તા વિનાનું કામ કરવામાં આવી રહ્યું હતું. સરકારી નિયમો મુજબ આવા કામોમાં નિયમિત દેખરેખ અને જવાબદાર અધિકારીઓની હાજરી ફરજિયાત હોવા છતાં તેની સંપૂર્ણ અવગણના થતી હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈ જાગૃત નાગરિક દ્વારા હાઉસિંગ વિભાગ, ગાંધીનગરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે કમ્પાઉન્ડ વોલના કામની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે સાથે કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારની સંપૂર્ણ તપાસ કરી દોષિત એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. હાલ આ સમગ્ર મામલો ધ્રાંગધ્રા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં સરકારી વિકાસ કામોની ગુણવત્તા અને પારદર્શિતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં મોટા આંદોલનની શક્યતા પણ નકારી શકાતી નથી.



