મચ્છરના ત્રાસ મુદ્દે આંદોલન દરમિયાન પોલીસ પર હુમલાના આરોપમાં પુરાવાના અભાવે કોર્ટનો મોટો ફેંસલો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 2020માં બનેલી ચકચારી ઘટનામાં દલાલ એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણી સહિત 300 લોકોના ટોળા સામે પોલીસ પર હુમલો અને ફરજમાં રુકાવટનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં રાજકોટની અદાલતે તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાનો મહત્વનો હુકમ કર્યો છે. રાજકોટના મહે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા આ ફેંસલો સંભળાવવામાં આવતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને ખેડૂત અગ્રણીઓમાં ખુશીની લહેર છવાય ગઈ હતી.
કેસની વિગત મુજબ, 17 ફેબ્રુઆરી 2020ના રોજ બેડી માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોના અસહ્ય ત્રાસ મુદ્દે દલાલ એસોસિએશન અને ખેડૂત આગેવાનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. પોલીસનો આરોપ હતો કે આશરે 300 માણસોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી યાર્ડ પાસે હાઈવે રોડ બંધ કરી ચકાજામ કર્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે સૂચના આપી હોવા છતાં લોકો ન હટતા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી ત્રણ પોલીસકર્મીઓને ઈજા પહોંચાડી હોવાનું જણાવી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં 32 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ કેસ ચાલવા ઉપર આવતા બચાવ પક્ષના એડવોકેટ સુરેશ ફળદુ અને તેમની ટીમે ધારદાર દલીલો કરી હતી. તેમણે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ કહેવાતી ઘટના વાસ્તવમાં ઘટી નથી પરંતુ રાજકીય ષડયંત્રના ભાગરૂપે ઘટાડવામાં આવી છે. બચાવ પક્ષે દલીલ કરી હતી કે જો આવી કોઈ હિંસક ઘટના બની હોત તો પોલીસ પાસે તેના સીસીટીવી ફૂટેજ હોવા જોઈએ, પરંતુ પોલીસ કોઈ સીસીટીવી ફૂટેજ રજૂ કરી શકી નથી. આ ઉપરાંત જે પથ્થરોથી હુમલો કરવાનું તહોમત મુકાયું હતું, તે પથ્થરો પણ મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવ્યા નહોતા. પ્રોસિક્યુશન પક્ષે માત્ર સરકારી સાક્ષીઓને જ તપાસ્યા હતા અને કોઈ પણ સ્વતંત્ર સાક્ષીની જુબાની લેવામાં આવી નહોતી.
અદાલતે તમામ પક્ષોની રજૂઆતો અને રેકોર્ડ પરના દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લેતા નોંધ્યું હતું કે આરોપીઓની ઓળખ અંગે કેસમાં ગંભીર વિરોધાભાસ છે. મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓનું મૂલ્યાંકન કરતા આરોપીઓની સંડોવણી નિ:શંકપણે પુરવાર થતી નથી. જ્યારે આરોપીઓને સજા કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનિક, ફોરેન્સિક કે મેડિકલ પુરાવાઓનો અભાવ હોય ત્યારે તેમને તકસીરવાન ઠેરવી શકાય નહીં. આથી અદાલતે ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો હોવાનું માની ધરપકડ કરવામાં આવેલ તમામ 32 આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવ્યો છે.



