મુસાફરોનો ધસારો, રોજની આવક 70 લાખને પાર:
પહેલાની સરખામણીએ 10 લાખની આવક વધી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટની મોટાભાગની તમામ સ્કૂલ-કોલેજોમાં હાલ વેકેશન છે, જેને લઈ ગામડે અને ફરવા જનારા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ વેકેશનમાં વધુ પડતા લોકો એસટી બસો દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરતાં હોવાથી એસટી વિભાગને વેકેશન ફળ્યું છે. વેકેશનનાં કારણે વોલ્વો અને ઈલેક્ટ્રિક એસ.ટી. બસોમાં બુકિંગ ફુલ થયા છે. રેગ્યુલર બસોમાં પણ મુસાફરોનો ધસારો વધ્યો છે. રાજકોટ એસટીને રોજની આવક રૂ. 60 લાખ આસપાસ રહેતી હતી, તે હવે રૂ. 70 લાખને પાર થઈ છે. એસટીનાં ડિવિઝનલ ટ્રાફિક મેનેજર વી. બી. ડાંગરનાં જણાવ્યા મુજબ, વેકેશનને કારણે ગત 1 તારીખથી જ વધારાની બસો જુદા-જુદા રૂટ પર દોડાવવાનું શરૂ કરાયું છે. જેને મુસાફરો તરફથી પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધી એસટીનાં રાજકોટ વિભાગની આવક પ્રતિદિન રૂ. 60 લાખ હતી, પરંતુ હાલ વેકેશનનાં દિવસો હોવાને કારણે આવક વધીને દરરોજ રૂ. 70 લાખ થઈ રહી છે.
- Advertisement -
એટલે કે, રોજની રૂ. 10 લાખની આવક વધી છે. જેને કારણે ચૂંટણી પૂર્ણ થયાનાં માત્ર પંદરેક દિવસમાં જ કુલ આવક રૂ. 10.34 કરોડ થઈ ચૂકી છે. રાજકોટ આખા સૌરાષ્ટ્રનું હબ છે, જેના કારણે તમામ રૂટ ઉપર મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને મોટાભાગની બસોમાં 100% રિઝર્વેશન થઈ રહ્યા છે. ઇલેક્ટ્રિક બસો રાજકોટથી જૂનાગઢ, મોરબી, જામનગર અને હીરાસર એરપોર્ટ સુધી પણ દોડાવવામાં આવી રહી છે. જેને પણ મુસાફરોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઉપરાંત વિવિધ ધાર્મિક સ્થળો જેવા કે, સોમનાથ, દ્વારકા સહિતના સ્થળે સારો ટ્રાફિક જોવા મળી રહ્યો છે. તો અમદાવાદ અને ભાવનગર જેવા સ્થળે જવા માટે પણ લોકો એસટીની વોલ્વો સહિતની બસોનો ઉપયોગ કરી રહ્યા છે.
ગરમીમાં મુસાફરોની પહેલી પસંદ એસી બસ
હાલ ગરમીમાં વધારો થતાં વોલ્વો બસોને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમજ એસટી નિગમમાં અગાઉ પણ મુસાફરો રિઝર્વેશન કરાવતા હતા, પરંતુ આધુનિક યુગમાં ડિજિટલ પેમેન્ટથી ગમેત્યારે રિઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. જેને કારણે હાલ મોટાભાગના મુસાફરો આ સેવાનો લાભ લઇ રહ્યા છે. રિઝર્વેશન સિવાય પણ કોઈ મુસાફર બસમાં જઈને ટિકિટ ખરીદે ત્યારે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી શકે છે. જેના કારણે એસટીની મોટાભાગની આવક ડિજિટલ માધ્યમથી થવા લાગી છે, જે ખરેખર ખૂબ સારી બાબત છે. ડિજિટલ પેમેન્ટને લઈ છુટ્ટા પૈસાની રકઝકનાં બનાવો ઘટ્યા છે. દરરોજ રૂ. 70 હજારથી લઈ 1 લાખ સુધીની આવક ડિજિટલ માધ્યમથી થવા લાગી છે.
દ્વારકા, સોમનાથ, અમદાવાદ અને ભૂજ માટે એકસ્ટ્રા બસો
ઉલ્લેખનીય છે કે, રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રમાં વેપારનું હબ ગણાય છે. સૌરાષ્ટ્રનાં જુદા-જુદા વિસ્તારમાંથી સહપરિવાર સાથે લોકો પોતાના સંતાનોના અભ્યાસ માટે દર વર્ષે આવતા રહે છે. કેટલાક લોકો માટે આરોગ્યની વિશેષ સારવાર માટેનું સ્થળ રાજકોટ બની રહ્યું છે. ઉનાળુ વેકેશન દરમિયાન મોટાભાગનાં લોકો પોતાનાં વતનમાં જતા હોવાથી એસટી બસોમાં ભારે ટ્રાફિક થઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ માટે એકસ્ટ્રા 50 બસો રાખવામાં આવી છે. જે દ્વારકા, સોમનાથ, અમદાવાદ અને ભૂજ જવા માટે દોડે છે.