જોખમી ટાઇફોઇડનાં 2 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં વધારો થતાં રોગચાળો વકરી રહ્યો છે. જેમાં શરદી- ઉધરસનાં કેસોમાં વધારો સતત યથાવત છે. ત્યારે છેલ્લા સપ્તાહમાં પણ શરદી-ઉધરસનાં 1082 કેસો નોંધાયા છે. જોખમી ટાઇફોઇડ તાવનાં 2 તેમજ ડેંગ્યુ અને મેલેરિયાનાં 1-1 કેસ મળીને કુલ 2015 કેસ નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને મચ્છરની ઉત્પત્તિ અટકાવવા હાલ શહેરમાં ફોગીંગ સહિતની કામગીરી વધુ ઝડપી કરવામાં આવી છે. તેમજ લોકોને પણ સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજ, છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 2015 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 1082 કેસ, ઝાડા-ઉલટીનાં 156, સામાન્ય તાવનાં 773કેસ નોંધાયા છે. આ ઉપરાંત અતિ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવનાં 2 કેસ નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુ તેમજ મેલેરિયાનાં 1-1 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ વધુ સતર્ક બન્યો છે. આ આંકડાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. જોકે ખાનગી ક્લિનિકોને ધ્યાનમાં રાખીએ તો કુલ દર્દીનો આંકડો 10,000 કરતા વધુ હોવાની શક્યતા છે. જોકે, રોગચાળા દ્વારા ઊભા થતા આરોગ્ય પડકારને પહોંચી વળવા મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 30 ડિસેમ્બરથી તા. 05 જાન્યુઆરી વચ્ચે 23,654 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.અને 759 ઘરોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. સામાન્ય રીતે મચ્છરની ઘનતા વધુ હોય તે વિસ્તારમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી. જે હાલ પણ ચાલુ છે. આ ઉપરાંત રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 382 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 252 તો કોર્મશીયલમાં કુલ 75 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ મચ્છરની ઉત્પત્તિ બદલ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. હાલ ડેંગ્યુનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આમ છતાં મનપા દ્વારા જે સ્થળેથી ડેંગ્યુનાં કેસો સામે આવ્યા હતા, તેવા સ્થળે ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ફોગીંગ સહિતની કામગીરી કરીને મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
- Advertisement -
HMPV વાઇરસના કોઈ કેસ સામે આવ્યા નથી: ડો. જયેશ વાંકાણી
મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હાલમાં શિયાળાની ઠંડીમાં વધારો થતાં શરદી-ઉધરસ તેમજ તાવનાં કેસો સામે આવી રહ્યા છે. ત્યારે લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો એ હિતાવહ છે. ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત જ મનપાનાં આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટર્સની સલાહ લઈ તે મુજબની દવા કરવી જરૂરી છે. જોકે હજુસુધી જોખમી ઇંખઙટ વાઇરસના કોઈ કેસ સામે આવ્યા નથી.



