બે મહિના મનપાના લગ્ન હોલ બંધ રહે તેવી શક્યતા : પરિવારોએ ખાનગી હોલને ઊંચા ચાર્જ ચૂકવવા પડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 1 ઓગસ્ટથી 19માંથી 17 કોમ્યુનિટી હોલને સીલ કરવામાં આવશે. ફાયર એન.ઓ.સી. માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે અભય ભારદ્વાજ અને અમૃતમ હોલ ખુલ્લો રખાશે. ટીઆરપી ગેમઝોનની ઘટના બની હતી તેના સંદર્ભમાં ઠેર ઠેર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટમાં મોટી હોટેલો, થીયેટર, મોલ, જુદા-જુદા ગેમઝોન અને સ્કૂલ જેવી બધી જ જાહેર જગ્યામાં ફાયર સેફ્ટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જે લોકો દ્વારા ફાયર સેફ્ટી રાખવામાં ન આવી હતી તેવા બધા જ લોકોને પૂરતી સેફ્ટી માટેના આદેશો આપીને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટમાં રહેલા કુલ 19 હોલમાંથી 17 હોલને સીલ કરી દેવામાં આવશે. હાલમાં જ્યારે સાતમ-આઠમ જેવા તહેવારો નજીક આવી રહ્યા છે અને લગ્નની સીઝન આવી રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 17 હોલ તા. 1 ઓગસ્ટથી રીપેરીંગ અને ફાયરસેફ્ટીને ધ્યાનમાં લઈને બંધ રાખવામાં આવી રહ્યા છે.
મનપા સંચાલિત લગ્ન હોલમાં પણ ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરવા માટે બે મહિના બંધ રાખવામાં આવનાર છે. હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને સમય લાગવાનો હોવાથી બે મહિના મહાનગરપાલિકાના લગ્ન હોલ બંધ રહે તેવી શક્યતા છે. હાલ વરસાદને લઇ પાર્ટી પ્લોટમાં પ્રસંગ કરવો પણ શક્ય નથી. ત્યારે હવે ખાનગી હોલ એકમાત્ર ઉપાય છે. જોકે, તેના ભાડા ઘણા વધારે હોવાથી આગામી બે મહિના લગ્ન કરવા વિચારવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. મનપા સંચાલિત 21 પૈકી હાલ ચાલુ 20 કોમ્યુનિટી હોલમાંથી 18માં આ કામગીરી કરવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ ફાયર સેફ્ટીના સાધનો વગર મહાનગરપાલિકાના લગ્ન હોલ ચલાવી શકાય નહીં. આથી તમામ લગ્ન હોલ તેમજ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરવા માટે તેની ખરીદી માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બે ટેન્ડર પ્રસિદ્ધ થઈ ગયા છે. અને આજે એક ટેન્ડર પ્રસિદ્ધ થયું છે, પરંતુ ટેન્ડર ભરાઇને પરત આવ્યા બાદ પાર્ટીને કામ આપવા સહિત પ્રક્રિયામાં સમય લાગવાનો છે. ત્યાર બાદ વર્કઓર્ડર આપી ફાયર સેફ્ટીના સાધનોની ખરીદી કરવામાં આવે અને બાકી રહી ગયેલા તમામ લગ્ન હોલમાં ફાયર સેફ્ટીના સાધનો ફિટ કર્યા બાદ તેની ચકાસણી કરી ફાયર એનઓસી ફાળવવામાં આવે જેમાં અંદાજે બે માસ જેટલો સમય લાગવાની શક્યતા છે. જોકે, આગામી બે મહિના દરમિયાન 10 જેટલા બુકિંગ હતા. પરંતુ ફાયર સેફટીના કામ માટે આ બુકિંગ રદ્દ કરી દેવાની ફરજ પડી છે. 2 માસ મહાનગરપાલિકાના ફાયર સેફ્ટીના સાધનો નથી તેવા લગ્ન હોલ બંધ રાખવામાં આવશે. જેના માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. તેવી જ રીતે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ કે જેમાં ફાયર સેફ્ટીના નિયમોની અમલવારી ફરજિયાત હોય તેમાં પણ કામગીરી કરવામાં આવનાર છે.
- Advertisement -
મહાનગરપાલિકાના ફાયર સેફ્ટીના સાધનો વગરના લગ્ન હોલ ઘણા સમયથી સીલ કરવામાં આવ્યા છે. અને જે તે વખતે અનેક પરિવારોના પ્રસંગો પણ રઝળી પડ્યા હતાં. આથી હવે ફરી વખત મહાપાલિકા દ્વારા વધુ બે માસનો સમય માંગવામાં આવ્યો છે.
આથી આગામી દિવસોમાં લગ્ન ગાળાની સિઝન આવતી હોવાથી ફરી વખત અનેક પરિવારોએ મોંઘાભાવની પ્રાઈવેટ વાડીઓ ફરજિયાત રાખવી પડશે. ચોમાસાની સિઝન હોવાથી પાર્ટીપ્લોટનો વિકલ્પ પણ ઉપલબ્ધ નહીં હોવાથી ખાનગી હોલ એ એકમાત્ર ઉપાય બચ્યો છે.
શહેરમાં 1500 જેટલાં લગ્ન થશે
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે લગ્નનાં મુહૂર્તો ઓછા હોવાથી લગ્નના તાંતણે બંધાવવા માંગતા યુવક-યુવતીઓને દિવસો સુધી સારા મુહૂર્તની રાહ જોવી પડી રહી છે. રાજકોટના શાસ્ત્રી અને વેદાંત રત્ન તરીકે ઓળખાતા રાજદીપ જોષીના કહેવા મુજબ, આ વર્ષે ગુરૂ-શુક્રનો અસ્ત હોવાથી ઊનાળામાં 40ના સ્થાને એકપણ લગ્નના મુહૂર્ત આ વર્ષે નહોતા. ચોમાસામાં 9 જુલાઈથી લગ્નનાં મુહૂર્ત શરૂ થઈ રહ્યા છે. જેમાં પણ 6 જ મુહૂર્ત હોવાથી વાડીઓ, કોમ્યુનિટી હોલમાં હાઉસફૂલની સ્થિતી છે. પાર્ટી પ્લોટમાં લગ્નમાં હવે વરસાદનો ડર છે. જોકે, આમ છતાં પણ લગ્નના 6 મુહૂર્તમાં રાજકોટ શહેરમાં 1,500 તો જિલ્લામાં 3,000 જેટલાં લગ્નો થશે. બાદમાં 3 માસ બાદ દિવાળીમાં એટ્લે કે નવેમ્બર માસમાં લગ્નનાં મુહૂર્ત શરૂ થશે.